|
રામચરિતમાનસના કવિને સંસ્કૃત ભાષા માટે વિશેષ, પાર વિનાનો પ્રેમ છે.
રામચરિતમાનસની રસમય હૃદયંગમ રચના પહેલાં એ વાલ્મીકિ રામાયણનો અભ્યાસ કરતા અને
જનતાને કથારૂપે રસાસ્વાદ કરાવતા.
તે પહેલાં પણ જીવનના આરંભના કૌમાર્યકાળમાં કાશીપુરીમાં વિદ્યાગુરુ નરહરાનંદ
સ્વામીનો સુખદ સંનિધિલાભ પામીને એમણે સંસ્કૃતનું અવિરત રીતે અધ્યયન કરેલું. એ
સ્નેહયુક્ત સંસ્કારનો ભાષાવારસો કેવી રીતે મરી જાય?
જીવનની ઉત્તરાવસ્થાએ પહોંચ્યા પછી, સૂર્ય અસ્તાચળ પર પહોંચી ગયો ત્યારે એમણે
રામચરિતમાનસની રસપ્રદ રસમય રચના આરંભી.
એનો અક્ષરદેહ આબાલવૃદ્ધોને સહેલાઇથી સમજાય એવી રીતે એ વખતની અયોધ્યા કાશી
ચિત્રકૂટ પ્રદેશની લોકભાષામાં ઘડ્યો.
સાહિત્ય - પછી તે ગદ્યાત્મક હોય કે પદ્યાત્મક હોય - જનસાધારણનું ના બને,
સામાન્ય જનસમાજ સુધી ના પહોંચે અને એને અનુપ્રાણિત કરવાનું સફળ શ્રેયસ્કર સમર્થ
સાધન ના બને તો શું કામનું ? એ અન્યને ઉપયોગી ભાગ્યે જ થઇ શકે. કેવળ પંડિતોનો,
સાક્ષરોનો વિદ્વાનોનો જ ઇજારો બની રહે. કવિને એવી સાહિત્યકૃતિ નહોતી સરજવી.
જનતાની ભાષામાં બોલવું, ગાવું ને જનતાના અંતરના અંતરતમપર્યંત પહોંચવું હતું.
એમણે એમની કવિતાકૃતિને જનતાની ભાષામાં તૈયાર કરવા માંડી.
પરંતુ એની એક વિશેષતા છે. કૃતિના આરંભમાં, અંતમા, પ્રત્યેક કાંડના આરંભે અને
વચ્ચે પણ એમણે અનુકૂળતા અનુસાર અવારનવાર એમની પ્રિય સંસ્કૃતભાષામાં શ્ર્લોકરચના
કરી છે. એવી રીતે એમના અંતરના સંસ્કૃત ભાષા પ્રત્યેના અનુરાગની અભિવ્યક્તિ થઇ
છે.
એ શ્ર્લોકરચના સુસંગત અને સરસ બની છે.
એ શ્ર્લોકોનો અનુવાદ આપણે મૂળ શ્ર્લોકોને આરંભે અને અંતે અક્ષરશઃ એવો જ અખંડ
રહેવા દઇને કર્યો છે. રામચરિતમાનસના રસિકોને એ રસપ્રદાન કરશે અથવા આનંદ આપશે એ
નિશ્શંક છે.
|