|
જે વિશ્વામિત્ર મુનિએ રામના આરંભના જીવનમાં એમના લગ્નજીવન પ્રવેશનાં સાક્ષી
અથવા પુરસ્કર્તા બનીને મહામૂલ્યવાન યોગદાન પ્રદાન કર્યું તે વિશ્વામિત્ર મુનિના
પ્રાણવાન પાત્રનું પછીથી શું થાય છે
? વિશ્વામિત્રનું એ પાત્ર પછીથી લગભગ અદ્રશ્ય થઇ જાય છે. કવિ એને કથા અથવા
કવિતામાંથી જ્ઞાતઅજ્ઞાત મુક્તિ આપે છે. વનવાસના વિકટ વખતમાં પણ રામ મહામુનિ
વાલ્મીકિના આશ્રમમાં પધારે છે પરંતુ પોતાના શૈશવ કે કૌમાર્યકાળના શિલ્પી
મહામુનિ વિશ્વામિત્ર પાસે નથી પહોંચતા. એમને યાદ કરવામાં નથી આવતા.
રામચરિતમાનસમાં પછી છેવટ સુધી એ પ્રાણવાન પરમપ્રતાપી પાત્રનો પરિચય જ નથી થતો એ
એક અસાધારણ આશ્ચર્ય છે. કવિ એમને વનવાસ પહેલાં કે વનવાસ વખતે કવિતામાં પાછા
આલેખી શક્યા હોત. એમણે રામને ધીરજ, હિંમત, ઉત્સાહ પ્રદાન કર્યાં હોત. એ સમુચિત
અથવા સુસંગત લાગત. પરંતુ એવું નથી થઇ શક્યું એ કરુણતા છે. કવિતાની કે
કવિતાકથાની ત્રુટિ પણ કહી શકાય.
વનવાસ વખતે એમને ફકત એકાદ વાર જ યાદ કરવામાં આવે છે અને એ પણ એમના પૂર્વ
વ્યક્તિત્વની સરખામણીમાં છેક જ સાઘારણ રીતે. એમની એ સ્મૃતિ અયોધ્યાકાંડમાં
કરવામાં આવે છે. ભરત નગરજનો સાથે ચિત્રકૂટમાં પહોંચે છે ત્યારે વિશ્વામિત્ર
પ્રાચીન કથાઓ કહીને સૌને સમજાવે છે.
कौसिक कहि कहि कथा पुरानीं। समुझाई सब सभा सुबानीं ॥
રામે વિશ્વામિત્રને જણાવ્યું કે કાલે સૌ પાણી વિના જ રહ્યા છે. વિશ્વામિત્ર
મુનિ બોલ્યા કે આજે પણ અઢી પ્રહર દિવસ પસાર થયો છે.
મહામુનિ વિશ્વામિત્ર જેવા પરમ પ્રાણવાન પાત્રની એ રજૂઆત ખૂબ જ ઝાંખી લાગે છે.
એવી રજૂઆત ના કરાઇ હોત તો હરકત નહોતી. |