|
કવિએ કરેલું વર્ષાઋતુનું અને શરદનું વર્ણન અનુપમ, અવનવું અને આહલાદક છે. એમણે
વર્ણનની સાથે રજૂ કરેલી આધ્યાત્મિક સરખામણી મૌલિક છે. રામના મુખમાં મુકાયેલા
ઉદગારો કાવ્યકળાના સર્વોત્તમ પરિચાયક અને સુંદર છે.
लछिमन देखु मोर गन नाचत बारिद पैखि।
गृही बिरति रत हरष जस बिष्नु भगत कहुँ देखि ॥
'લક્ષ્મણ
જો, કોઇક વૈરાગ્યવાન ગૃહસ્થ જેમ વિષ્ણુભક્તને જોઇને હરખાય તેમ મોરસમૂહ વાદળને
વિલોકીને નાચી રહ્યો છે.'
घन घमंड नभ गरजत घोरा। प्रिया हीन डरपत मन मोरा ॥
दामिनि दमक रह न घन माहीं। खल कै प्रीति जथा थिर नाहीं॥
"આકાશમાં વાદળાં ઘેરાઇને ઘોર ગર્જના કરી રહ્યાં છે. પ્રિયા વિના મારું મન ડરી
રહ્યું છે. દુષ્ટની પ્રીતિ જેમ સ્થિર હોતી નથી તેમ ચપલાના ચમકાર વાદળમાં સ્થિર
રહેતા નથી."
"વિદ્વાન વિદ્યાને મેળવીને નમ્ર બને છે. તેમ વાદળાં પૃથ્વી પાસે આવીને વરસી
રહ્યાં છે. દુષ્ટોનાં વચનોને સંત સહન કરે છે તેવી રીતે વરસાદની ધારાઓનો માર
પર્વત સહી રહ્યો છે. પાખંડ મતના પ્રસારથી સદગ્રંથ ગુપ્ત થાય છે તેમ પૃથ્વી
ઘાસથી છવાઇને લીલી બનેલી હોવાથી પંથની સમજ પડતી નથી. રાતના ગાઢ અંધકારમાં
દંભીનો સમાજ મળ્યો હોય તેમ આગિયાઓ શોભે છે."
"જ્ઞાની જેમ મમતાનો ત્યાગ કરે છે તેમ નદી તથા તળાવનાં પાણી ધીમેધીમે શરદઋતુમાં
સુકાઇ રહ્યા છે. ઉત્તમ અવસર આવ્યે સત્કર્મો ભેગા થાય છે તેમ શરદઋતુના શુભાગમનથી
ખંજનપક્ષીઓ એકઠાં થયા છે."
"સઘળી આશાઓથી મુક્ત ભગવાનનો ભક્ત શોભે છે તેમ વાદળો વગરનું નિર્મળ આકાશ સોહે
છે. મારી ભક્તિને વિરલ પુરૂષવિશેષ જ પામી શકે છે તેમ કોઇ
કોઇ સ્થાનમાં જ વરસાદ વરસે છે. અજ્ઞાની સંસારી માનવ ધન વિના બેચેન બને છે તેમ
જળ ઓછું થતાં માછલાં વ્યાકુળ થયાં છે. શ્રી હરિના શરણમાં જવાથી એકે આપત્તિ નથી
રહેતી તેમ ઉંડા પાણીમાં રહેનારાં માછલાં સુખી છે. નિર્ગુણ બ્રહ્મ સગુણ બનીને
શોભે છે. તેમ તળાવો કમળ ખીલતાં શોભે છે. સદગુરુ સાંપડતાં સંદેહ તથા બ્રહ્મના
સમૂહો નથી રહેતા તેમ શરદઋતુ આવતાં પૃથ્વી પરના જીવો નાશ પામ્યાં છે."
|