|
પ્રકૃતિના વર્ણન વખતે કવિ કેટલીકવાર અસામાન્ય કલ્પનાશક્તિનો અને આલેખનકળાનો
પરિચય કરાવે છે. કવિની કવિતાશક્તિ એવા વખતે સોળે કળાએ ખીલી ઉઠે છે. એની પ્રતીતિ
માટે આ પ્રસંગ જોવા જેવો છેઃ
પૂર્વ દિશામાં રામે ચંદ્રને ઉદય પામેલો જોઇને પૂછ્યું કે ચંદ્રમાં જે કાળાશ
દેખાય છે તેનું રહસ્ય શું હશે ?
બધા પોતપોતાની બુદ્ધિ પ્રમાણે બોલવા લાગ્યા.
સુગ્રીવે કહ્યું કે ચંદ્રમાં પૃથ્વીની છાયા દેખાય છે.
કોઇક બીજાએ કહ્યું કે રાહુએ ચંદ્રને મારેલો. તે મારની કાળાશ તેના હૃદય પર પડી
છે. કોઇક બીજાએ કહ્યું કે બ્રહ્માએ રતિનું મુખ બનાવ્યું ત્યારે ચંદ્રનો સારભાગ
લેવાથી ચંદ્રના હૃદયમાં છિદ્ર રહ્યું છે.
कोउ कह जब बिधि रति
मुख कीन्हा। सार भाग ससि कर हरि लीन्हा ॥
छिद्र सो प्रगट इंदु उर माहीं।
રામ બોલ્યાઃ ચંદ્રનો અતિપ્રિય બંધુ વિષ હોવાથી એણે એને પોતાના હૃદયમાં સ્થાન
દીધું છે. એ વિષવાળાં કિરણોને પ્રસારી વિરહી નરનારીઓને બાળી રહ્યો છે.
હનુમાને સ્પષ્ટીકરણ કર્યું કે
कह हनुमंत सुनहु प्रभु ससि
तुम्हारा प्रिय दास।
तव मूरति बिधु उर बसति सोइ स्यामता अभास ॥
"હે
પ્રભુ, સાંભળો. ચંદ્ર તમારો પ્રિય દાસ છે, તમારી મૂર્તિ ચંદ્રના હૃદયમાં વસે
છે. શ્યામતારૂપે એની જ ઝાંખી થાય છે."
હનુમાનજી પોતે રામભક્ત હોવાથી ચંદ્રને પણ રામભક્ત તરીકે કલ્પી કે પેખી શક્યા.
આગળ પર રામે એમની સાથેના વાર્તાલાપ દરમ્યાન જણાવેલું કે અનન્ય ભક્ત પોતાને સેવક
સમજીને ચરાચર જગતને પોતાના સ્વામી ભગવાનનું જ રૂપ માને છે. હનુમાનજીએ અનન્ય
ભક્તની એ ભાવનાને યથાર્થ કરી બતાવી.
|