|
બ્રહ્માની
સૂચનાનુસાર દેવતાઓ એ પ્રેમપૂર્વક સ્તુતિ કરી એટલે કામદેવ પ્રકટ થયા. દેવોએ એમને
પોતાની વિપત્તિ કહી. તારકાસુરના નાશને માટે શિવનો લગ્નજીવનપ્રવેશ આવશ્યક હતો.
શિવના સુપુત્ર કાર્તિક સ્વામીના હાથે જ તારકાસુરનો સંહાર શક્ય હતો. ભગવાન શંકર
સમાધિમગ્ન હોવાથી એમને સમાધિમાંથી જગાડવાનું આવશ્યક હતું. કામદેવ એમના મનમાં
ક્ષોભ પેદા કરે તો જ એમની જાગૃતિ શક્ય બને અને દેવોનું હિત સધાય.
કામદેવે
દેવતાઓની આગળ પ્રકટ થઇને જે કાંઇ કહ્યું તે ખાસ નોંધવા જેવું છેઃ
શંભુ બિરોધ ન
કુસલ મોહિ, બિહસિ કહેઉ અસ માર.
"કામદેવે
દેવતાઓને હસીને જણાવ્યું કે શિવનો વિરોધ કરવાથી મારું કલ્યાણ નહિ થાય."
तदपि करब मैं काजु तुम्हारा । श्रुति कह परम
धरम उपकारा ॥
पर हित लागि तजइ जो देही । संतत संत प्रसंसहिं तेही ॥
"તોપણ હું
તમારું કાર્ય કરીશ. વેદ બીજાના ઉપકારને પરમ ધર્મ કહે છે. બીજાના કલ્યાણકાર્યને
માટે જે પોતાના શરીરનું પણ બલિદાન આપે છે તેની સત્પુરુષો સદા પ્રશંસા કરે છે."
કામદેવની એ
પરહિતભાવના. એ ભાવના સવિશેષ રૂપે તો એટલા માટે આદરપાત્ર અને અભિનંદનીય હતી કે
એના પરિણામે પોતાનું શ્રેય નહિ સધાય એવી એમને પ્રતીતિ હતી.
થયું પણ અંતે એમ
જ. કામદેવનો પ્રભાવ સર્વત્ર ફરી વળ્યો. એ પ્રભાવનું વર્ણન કવિએ ખૂબ જ સુંદર,
કળાત્મક, હૃદયંગમ ભાષાશૈલીમાં કર્યું છે. કવિ એને માટે અભિનંદનના અધિકારી છે.
ભગવાન શંકરની
સમાધિ છૂટી. કામદેવનું દહન થયું.
જ્ઞાની ત્રીજું
નેત્ર ઉઘાડે, એની ઋતંભરા પ્રજ્ઞા જાગે, એટલે કામનો પ્રભાવ ઘટી જાય, નિર્મૂળ
થાય.
કામદેવને
પરહિતને માટે બનતો ભોગ આપ્યાનો સંતોષ થયો. એમનું સ્થૂળ શરીર ભલે ભસ્મિભૂત
બન્યું, યશશરીર સદાને માટે અમર, અકબંધ રહ્યું.
|