Information on North India's Pilgrim places in Gujarati

તીર્થ-યાત્રા

ઉત્તર ભારતના પ્રસિદ્ધ તીર્થસ્થાનોનો પરિચય

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

તીર્થયાત્રા

NEXT >

. વૈષ્ણવીદેવી

       

ઉત્તર ભારતમાં અને ખાસ કરીને પંજાબ તથા કાશ્મીરમાં તો વૈષ્ણવી દેવીનું નામ સારી પેઠે જાણીતું છે. નવરાત્રીના દિવસો દરમિયાન ત્યાં મોટો મેળો ભરાય છે ત્યારે ભાવિક લોકો એટલા બધા વિશાળ પ્રમાણમાં ઊમટી પડે છે કે, એમની વ્યવસ્થા કરવાનું કામ પણ કઠિન બની જાય છે. નવરાત્રીના દિવસો ખાસ કરીને દેવીદર્શન ને દેવીપૂજનના ગણાતા હોવાથી, લગભગ પ્રત્યેક દેવીના ધામમાં ભાવિક ભક્તો ભેગા થાય છે. તેમ છતાં કેટલાંક સ્થળોએ એમનો ધસારો વધારે રહે છે. વૈષ્ણવી દેવીનું સ્થળ એવું જ વિશેષ મહત્તાવાળું હોઈ, દૂરદૂરના અંતરના ભાવિક લોકો એ દેવીની કૃપાની કામના કરે છે, બાધા રાખે છે અને એના દર્શનથી ધન્યતાનો અનુભવ કરીને પૂજા કરે છે.

યાત્રાનો માર્ગ : વૈષ્ણવી દેવી જવા માટે દિલ્હીથી પઠાણકોટ થને જમ્મુ જવું પડે છે. જમ્મુથી કટરા સુધી લગભગ 3૧ માઈલનો મોટર-રસ્તો છે. તે પછી લગભગ ૧પ માઈલ યાત્રામાર્ગ છે. કટરામાં કુલી એજન્સી દ્વારા યાત્રા માટે મજૂરની વ્યવસ્થા થઈ શકે છે. કટરા મોટું સ્થળ હોવાથી, ત્યાંનું બજાર પણ મોટું છે. યાત્રા દરમિયાન ત્યાં નવીનવી કેટલીય દુકાનો મંડાય છે. પર્વતીય પ્રદેશની આગળની યાત્રા માટે લાકડી, રબરનાં તળિયાંવાળા બૂટ વગેરે આવશ્યક વસ્તુઓ ત્યાંથી લેવામાં આવે છે.

યાત્રામાં ઉત્સાહી લોકોનાં ટોળેટોળાં ચાલતાં હોય છે. એટલે રસ્તામાં સંગાથનો સવાલ નથી રહેતો. નવીનવી ઓળખાણો થતી જાય છે. અને એમની સાથે વાતો કરતાં કરતાં આનંદપૂર્વક આગળ વધાય છે. રસ્તામાં ચરણપાદુકા નામે સ્થાન આવે છે. ત્યાં માતાના ચરણનાં ચિહ્ન જોવા મળે છે. તે પછી આદિકુમારી નામે સ્થાન આવે છે. ત્યાં પહેલો પડાવ કરવામાં આવે છે. ત્યાં ધર્મશાળા અને એક નાનીસરખી ગુફા છે.

આદિકુમારીથી આગળનો માર્ગ ઘણો કઠિન છે. એ માર્ગે હાથીમત્થાનું સખત ચઢાણ આવે છે. તે દરમિયાન ભાવિક સ્ત્રીપુરુષોની શ્રદ્ધાભક્તિની પૂરી ને ખરેખરી કસોટી થાય છે. તેમ છતાં કોઈ નિરાશ નથી થતું કે નથી હિંમત હારતું. હાથીમત્થાના ચઢાણ પછી ત્રણેક માઈલનું ઉતરાણ આવે છે. ઉતરાણ વખતે પણ પર્વતીય રસ્તા પરથી સંભાળીને ચાલવું પડે છે. ઉતરાણ પૂરું થતાં દેવીનું સ્થાન આવે છે. એ સ્થાનામાં કોઈ દેવીનું મંદિર નથી જણાતું, પરંતુ ગુફાનું દર્શન થાય છે. દેવીએ પોતાના ત્રિશૂળના પ્રહારથી પથ્થરની અંદર ગુફા નિર્માણ કરેલી એવું કહેવામાં આવે છે. ગુફામાં ક્રમેક્રમે જવું પડે છે. અંદર મહાલક્ષ્મી, મહાસરસ્વતી ને મહાકાલીની મૂર્તિઓના દર્શનનો લાભ મળે છે. ગુફાનું પ્રવેશદ્વાર એટલું બધું સાંકડું છે કે શરૂઆતમાં થોડાક અંતર સુધી ઊંધા પડીને સૂતાંસૂતાં જવું પડે છે. અંદર એકસાથે ચારેક દર્શનાર્થી રહી શકે છે. પૂજારી ત્યાં પૂજા કરાવવા હાજર રહે છે. મૂર્તિઓના ચરણમાંથી નિરંતર પાણી નીકળે છે. તેને બાણગંગા કહેવામાં આવે છે.

દેવીના એ સ્થળમાં દેવીના ભક્તો મોટે ભાગે કુમારીઓને દાન આપે છે. નાનીનાની બાલિકાઓ ત્યાં મોટી સંખ્યામાં એકઠી થાય છે. તેઓ યાત્રીઓ પાસેથી કો ને કો વસ્તુની કામના કરે છે, ને શ્રદ્ધાભક્તિવાળા યાત્રીઓ એમને દેવીના પ્રતીક કે સ્વરૂપ સમજીને તેમની કામના પૂરી કરે છે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'તીર્થયાત્રા'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer