ગોલા
ગોકર્ણનાથનું તીર્થ પણ ઉત્તર ભારતમાં ખૂબ વખણાય છે. એ સ્થાન રેલવે-લાઈન પર
છે, અને કાસગંજ-લખનૌ લાઈન પરના લખીમપુર ખીરી નામના સ્ટેશનથી લગભગ રર માઈલ દૂર
છે. એને ઉત્તર ગોકર્ણક્ષેત્ર કહેવામાં આવે છે. દક્ષિણ ગોકર્ણક્ષેત્રનું તીર્થ
દક્ષિણ ભારતમાં છે.
એક વિશાળ
સુંદર સરોવરની બાજુમાં ગોકર્ણનાથ મહાદેવનું મોટું મંદિર છે. યાત્રીઓના રહેવા
માટે ત્યાં ધર્મશાળા પણ છે. શિવરાત્રીએ તથા ચૈત્ર સુદમાં ભરાતા મોટા મેળા
દરમિયાન એ તીર્થસ્થાનમાં ઘણા માણસો ભેગા થાય છે.
આ તીર્થ
સંબંધી ‘વારાહપુરાણ’માં
એક કથા છે : ભગવાન શંકર આ ક્ષેત્રમાં એકવાર મૃગનું રૂપ લઈને ફરી રહ્યા હતા.
દેવતાઓ એમને શોધવાની ઈચ્છાથી ત્યાં આવી પહોંચ્યા. એમાંથી બ્રહ્મા, વિષ્ણુ ને
ઈન્દ્રે એમને ઓળખીને એમને પકડવા માટે એમનાં શિંગડાં પકડ્યાં. શંકર ભગવાન
એકાએક અદૃશ્ય થઈ ગયા, પરંતુ એમનાં શિંગડાં દેવોના હાથમાં રહી ગયાં. એમાંથી એક
શિંગડું દેવોએ આ સ્થળમાં સ્થાપ્યું, બીજું બિહારના ભાગલપુર જિલ્લાના
શૃંગેશ્વર નામે સ્થળમાં અને ત્રીજું ઈન્દ્રે સ્વર્ગમાં સ્થાપ્યું. રાવણે
ઈન્દ્રને યુદ્ધમાં હરાવીને ગોકર્ણલિંગને સ્વર્ગમાંથી હાથ કર્યું. રસ્તામાં
એને એક જગ્યાએ રાખીને પોતે નિત્યક્રમમાં પ્રવૃત્ત થયો. નિત્યકર્મ પૂરું કરીને
એણે મૂર્તિને ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ મૂર્તિ ઉપાડી ના જ શકાઈ. રાવણે
સ્વર્ગમાંથી આણેલી એ લિંગમૂર્તિ દક્ષિણ ભારતના ગોકર્ણતીર્થમાં છે, ને દેવતાઓએ
સ્થાપેલી મૂર્તિ અહીં છે, એમ કહેવાય છે.
ગોકર્ણની
આજુબાજુ કેટલાંક અન્ય તીર્થો છે. યાત્રી તે તીર્થોનું પણ દર્શન કરે છે.
ગોકર્ણમંદિરથી અડધા માઈલ અંતરે ભદ્રકુંડ છે. મંદિરની પાસે ગોકર્ણતીર્થ છે.
કોણાર્કકુંડ હિંદુસ્તાન સુગર મિલથી ઉત્તરમાં છે. ગોકર્ણથી ચારેક માઈલ દૂર
માણ્ડકુંડ છે. પુનર્ભૂકુંડ સ્ટેશનથી ઉત્તરમાં આવેલા પુનર્ભૂ નામના ગામમાં છે.