|
ભાવાર્થઃ
અત્યાર સુધીના વિષયના અનુસંધાનમાં આ શ્ર્લોકમાં આગળ કહેવામાં આવે છે કે
સાંભળવામાં આવનારા પદાર્થની અથવા સ્થૂળ કાન દ્વારા સંભળાતી જે પણ સામગ્રીની
ઉપાસના કરવામાં આવે છે એ ઉપાસના પરમાત્માની નથી. એ બધી પ્રકૃતિની ઉપાસના છે.
સાધકે એમાં આસક્તિ કરવાને બદલે પરમાત્મામાં પ્રતિષ્ઠીત થવું જોઇએ. એ પરબ્રહ્મ
પરમાત્માની પૂરી માહિતી કાનથી સાંભળીને નથી મેળવી શકાતી. શાસ્ત્રશ્રવણાદિ
દ્વારા જે માહિતી મળે છે એ તો અત્યંત અલ્પ અથવા આંશિક જ હોય છે. એમની સંપૂર્ણ
સ્વાનુભવપૂર્ણ માહિતી મેળવવા માટે તો કાન જેવી બીજી બધી જ ઇન્દ્રિયોના
પ્રદેશથી તથા વ્યાપારથી ઉપર ઉઠવું પડે છે, અથવા અતીન્દ્રિય અવસ્થામાં
પ્રવેશવું પડે છે.
પરમાત્માની સનાતન શક્તિને લીધે જ કાન સાંભળી શકે છે. કાન સુધી પહોંચનારું અને
કાનમાંથી બહાર નિકળનારું શક્તિકિરણ એનું જ છે એવું સમજીને પરમાત્માની
જ્ઞાનપૂર્વક ઉપાસના કરવી જોઇએ.
કાન પરમાત્માની શક્તિથી જ સાંભળે છે એવું સમજીને જે કાંઇ સાંભળીએ તો શુભ,
મંગલ અને જીવનોપયોગી સાંભળવાનો જ આગ્રહ રાખવો જોઇએ. એવી ટેવ પડી જવી જોઇએ.
અપશબ્દ, નિંદા અને બૂરી વાતો ન સાંભળવી જોઇએ. આંખ પરમાત્માની શક્તિથી જુએ છે
એવું સમજીને જે પણ જોઇએ તે પવિત્ર દ્રષ્ટિથી જ જોઇએ, સર્વત્ર પરમાત્માની
પરમસત્તાનું દર્શન કરતાં શીખીએ, વિકાર-વાસના અને શત્રુતાની દ્રષ્ટિથી ના
જોઇએ. મનની પાછળ રહેવાની શક્તિ પણ પરમાત્માની છે એવું યાદ રાખીને જે મનન કે
ચિંતન કરીએ તે સારું કરીએ, ઉત્તમ કરીએ. મનને મંગલમય ભાવો તથા વિચારોથી ભરી
દઇએ. પવિત્ર રાખીએ. એને દુર્બુદ્ધિવાળું કરવાને બદલે સદબુદ્ધિથી સંપન્ન કરીએ,
આપણા અને બીજાના કલ્યાણની યોજના ઘડીએ. વાણીની પાછળ પણ એ જ પરમાત્માનું પ્રેરક
બળ રહેલું છે એવું માનીને કટુ ભાષણ ના કરીએ. અપશબ્દો ના બોલીએ. આવશ્યક હોય
તેટલું જ બોલીએ. સત્ય, મધુર અને હિતકારક બોલવાનો ને વાણી દ્વારા પોતાની ને
બીજાની સેવા કરવાનો આગ્રહ રાખીએ. વાણીનો દુરુપયોગ કદાપિ ના થવા દઇએ. |