An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

केनोपनिषद ॥

     
   
< BACK

  < Kena Upanishad >

NEXT >

CHAPTER 4 : Verse 04

 

तस्यैष आदेशो यदेतद्विद्युतो व्यद्युतदाइतीन् ।

न्यमीमिषवदा इत्यधिदैवतम् ॥४॥

 

અર્થઃ

તસ્ય - એ પરમાત્માનો

એષઃ - એ

આદેશઃ - સૂચિત સદુપદેશ છે.

યત્ - જે

એતત્ - આ

વિદ્યુતઃ - વિજળીના

વ્યદ્યુતત્ આ - ચમત્કાર જેવું

ઇતિ - (ક્ષણભંગુર) છે

ઇત્ - તેમજ જે

ન્યમીષિવત્ - નેત્રોના પલકાર સમાન છે.

ઇતિ - એવી રીતે

અધિદૈવતમ્ - એ આધિદૈવિક ઉપદેશ છે.

 

ભાવાર્થઃ

યક્ષની આ કથાનો સાર સારી પેઠે સમજવા જેવો છે. સંસારમાં દેવો પણ છે, દાનવો પણ છે. દેવો એટલે શુભ ભાવો, વિચારો, વૃતિઓ, સંસ્કારો, પરિબળો અને દાનવો એટલે અશુભ ભાવો, વિચારો, વૃતિઓ, સંસ્કારો, પરિબળો. એ બંનેનો ગજગ્રાહ બહાર સંસારમાં અને અંદર માનવના મનમાં ચાલ્યા જ કરે છે. માનવ એ સંઘર્ષમાં સફળ થાય તો એને એનું અભિમાન ના થવું જોઇએ. જીવનમાં જે વિજય મળે છે, સંપત્તિ જડે છે, યશની, સુખની, શાંતિની પ્રાપ્તિ થાય છે એનું કારણ પરમાત્મા હોય છે. પરમાત્માની પરમ કૃપાથી અથવા અસાધારણ શક્તિથી જ એ બધું શક્ય બને છે. દેવોનો દાનવો પરનો વિજય પરમાત્માને લીધે જ થતો હોય છે. એ જ સાધક કે શરણાગતના પ્રેરક છે, સંરક્ષક છે, સર્વેશ્વર છે. એ વાતને વિસરીને જે મિથ્યાભિમાનમાં ડૂબે છે તે ભૂલ કરે છે અને નાશને નોતરે છે. માનવે, અને ખાસ કરીને સાધકે સઘળાં સંજોગોમાં સરળ, નમ્રાતિનમ્ર, નિરહંકાર બનીને સઘળો યશ પરમાત્માને જ પ્રદાન કરતાં શીખવું જોઇએ. માનવ પોતાની મેળે, ગમે તેવો ગર્વ કે ઘમંડ રાખે તોપણ, એક તણખલાને પણ તોડી કે હઠાવી શકે તેમ નથી. જે ગર્વ કરે છે તે છેવટે હારે છે. નિરાશ અને નાસીપાસ થાય છે, પસ્તાય છે.

આ ઉપનિષદમાં પરમાત્મા યક્ષરૂપે પ્રકટે છે અને યક્ષના તિરોધાન પછી પરમસૌન્દર્યમયી ભગવતી ઉમાદેવીનું પ્રાકટ્ય થાય છે એવું વર્ણન આવે છે. સાકાર પરમાત્માની વિચારધારા કે કલ્પના એવી રીતે ઉપનિષદ જેટલી પુરાતન છે. એ વર્ણનમાં પરમાત્માની સાકાર ઉપાસનાનું બીજ રહેલું છે.

હવે ઉપનિષદના આ મંત્રમાં ઋષિએ સાંકેતિક રીતે સૂચવેલી વાતને વિચારીએ. પરમાત્માની સાચી માહિતી કોણ પૂરી પાડે છે ? બ્રહ્મવિદ્યા. ભગવતી ઉમાદેવીની જેમ સાધકના જીવનમાં બ્રહ્મવિદ્યાનો પ્રકાશ પ્રકટે છે ત્યારે સાધકની સઘળી શંકા શમી જાય છે અને ભ્રાંતિ દૂર થાય છે.

ઇન્દ્રને યક્ષ વિશે જાણવાની ઇચ્છા તો થઇ, પરંતુ યક્ષ એમની આગળથી અદૃશ્ય થઇ ગયો, એવી રીતે સાધકને કેટલીકવાર પરમાત્મદર્શનની ઉત્કટ ઇચ્છા થાય છે ત્યારે પરમાત્મા એને પોતાની સાધારણ ઝાંખી કરાવીને, એની પ્રેમભક્તિને પ્રબળ બનાવવા માટે એની આગળથી અદૃશ્ય થઇ જાય છે. એ ઝાંખી આકાશમાં ચમકીને અદૃશ્ય થનારી ચપલા જેવી અથવા આંખના પલકારા જેવી ક્ષણજીવી હોવા છતાં સુખદ હોય છે.

એ મંત્રનો બીજો સૂચિતાર્થ એવો છે કે જીવન અને એમાં જે કાંઇ છે તે બધું જ ચપલાના ચમકાર અથવા પાંપણના પલકારની પેઠે ક્ષણિક અથવા અનિત્ય છે. એનો લાભ લઇને નિત્ય સનાતન પરમાત્માની પાસે પહોંચવાનો પ્રયત્ન કરવો જોઇએ. જીવનની સાચી સફળતા તેમજ સાર્થકતા એમાં જ સમાયેલી છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer