કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

હે સર્વશક્તિમાન !

   
< BACK

અક્ષત

NEXT >
 

જ્યાં ભય નથી, વૈમનસ્ય નથી, ધિક્કાર નથી,

પરસ્પરના ભેદભાવની દુર્ભેદ્ય દીવાલો તૂટી પડી છે,

માનવ માનવ વચ્ચેના પ્રેમની

પતિતપાવની મધુમય મંદાકિની પ્રકટી રહી છે.

સંસારના સઘળા સભ્યો

એક જ કુટુંબના સદસ્યો સમા

સ્નેહાળ સેવાપરાયણ સૌરભભીના બનીને શ્વાસ લે છે;

વિસંવાદની શતશત સિતારીઓની વચ્ચેથી પણ

સંવાદના સ્વર્ગીય સૂર છૂટે છે:

અને સૌ કોઈ એનો અમીમય આસ્વાદ લૂંટે છે.

 

સત્યને જ્યાં એનું પોતાનું સિંહાસન સમર્પિત થયું છે,

અસત્યનું અવસાન થયું છે;

દંભના દાનવે સરળતાને સારું પોતાનું ઘર ખાલી કરી આપ્યું છે;

શોષણને સ્થાને પોષણ છે

સ્વાર્થને બદલે નિઃસ્વાર્થતા,

સત્તાખોરીને બદલે સેવાની તમન્ના કે સદ્દભાવના;

શરીરના સ્વાદમાં લપટાઈને

માનવે જ્યાં આત્માની અવજ્ઞા નથી કરી

અને જડ જગતની આરાધનામાં

આત્મોન્નતિનું અવસાન નથી થયું :

સ્વતંત્રતાનો સદાય થાય છે સદુપયોગ

સ્વ અને પરની સમુન્નતિને માટે:

માનવની બધી જ બેડીઓ તૂટી પડી છે;

મન, વચન, વાણી, કલમને મુક્ત છતાં મંગલ રીતે

વહેવાના અવકાશની ગૌરવભરી ઘડી છે :

માનવતાનું કમનીય કમળ

સત્કર્મના સૂર્યોદયથી શત શત દલે ખીલી ઊઠ્યું છે,

દાનવતાનું દલ દૂર થયું કે ભાગી છૂટ્યું છે :

એવું વાયુમંડલ

આ વિશાળ વિશ્વમાં વ્યાપ્ત કરી દો, સર્વશક્તિમાન !

એવી ઉષાની ઉલ્લાસમય માધુરી

પૂર્વ ને પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ, બધે જ ભરી દો :

એવા દૈવી દિનનું અને દિવસોનું પ્રાક્ટય

પૃથ્વી પર કરી દો.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer