અંતરના અંતરતમમાં પ્રસ્ફુટિત મંજુલ રવ

 

 

અનંત સૂર

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પ્રભુની વ્યાપકતા

     
   
< BACK

અનંત સૂર

NEXT >
 

જ્યારે તું આ ડુંગર પર ચઢે છે, ત્યારે લીલાછમ ઘાસમાંથી હાલી હાલીને હું તારો સત્કાર કરું છું. શું તને તેની ખબર નથી ?

 

ને આ પ્રફુલ્લ પવનમાં પ્રસરીને બાળકની પ્રત્યે પ્રેમ બતાવતી માતાની જેમ હું તને મારો પ્રેમ બતાવું છું. શું તેની તને જાણ નથી ?

 

આ સૂના વનની સોડમાં સૂતેલા ઝરણમાં વહી જઈને હું આપણા પ્રેમનો પરિચય આપું છું, ને સંધ્યા ને ઉષાના સુંદર રંગોમાં મારા હૃદયને ખુલ્લું કરું છું.

 

અને જ્યારે આખું જગત સૂઈ જાય છે ને મારા દૂત જેવો પવન ધીરે ધીરે વહ્યા કરે છે, ત્યારે રાત્રિની કેડમાં બેઠેલા બાળક જેવા આ તારાઓમાં રહીને પણ હું એ જ કહું છું કે તું તે જ હું. શું આનો તને પરિચય નથી ?

 

નહિ તો તું એમાં મસ્ત બનીને શાંતિ, પ્રેમ ને આનંદ બન્યા વિના ના રહેત; નહિ તો આવી ડુંગરની લીલોતરીમાં આસન વાળી મારા જ ખોળામાં બેસી મને જોવા દૂર દ્રષ્ટિ ના કરત; ને રાત્રિના તારામાં મને જોવાને બદલે મોટેથી જપ કરીને મારા મર્મસ્થળ જેવી શાંતિને છેદવાના પ્રયાસો ના કરત. ખરેખર, તું કૃતકૃત્ય જ બની રહેત ને મુક્તિને મેળવવા તારે કોઈ બીજા સંસારમાં જવું ના પડત. અને શું તું ઉષા આગળ આવીને આંખ મીંચવાની મૂર્ખતા પણ શું કદી કરત ?

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અનંત સૂર' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer