પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

મહાગીતનો ગાયક કવિ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

આ અનંત અવનીના કયા આકાશી આસન પર આસીન થઈને, તું તારું મધુમય મહાગીત ગાઈ રહ્યો છે, મારા મહાકવિ ! જેના પ્રતિધ્વનિ પૃથ્વીમાં પીયૂષરૂપે બધે જ પડી રહ્યા છે ? કયા અમીમય આવાસમાં આરામપૂર્વક આસીન થઈને, તું તારું મધુમય મંગલ ગીત ગાઈ રહ્યો છે ?

*

એના સુધાસભર શ્રવણથી ઉષા ને સંધ્યા ને રાત તથા દિવસ સમાધિમગ્ન બન્યાં હોય તેમ, કોણ જાણે કેટલાય કાળથી ફેરા ફર્યા કરે છે, ને તારા, ચંદ્ર ને સૂર્ય સંજીવન ને પ્રેરણા પામીને, પૃથ્વીને પ્રકાશે ભરે છે.

*

સાગર એના સ્વર્ગીય સ્વાદથી સદા સંવાદ સાધે છે, મસ્તીમાં મહાલે છે, અને અભિસારિકા સમી સરિતા આગળ વધે છે. અંનત આકાશ એકદમ આશ્ચર્યચકિત થઈને, એના આસ્વાદમાં અંતરને ઓતપ્રોત કરીને, અનંતકાળથી ઊભું રહ્યું છે; પ્રેમમગ્ન પૃથ્વી પ્રસન્નપણે પરવશ જેવી પડી રહી છે; ને પર્વતો ઉન્નત મસ્તકે એની દિશામાં દેખ્યા કરે છે. તેમની તલ્લીનતા નથી તૂટતી.

*

આ સુધા સાગરશી સ્વાદુ સૃષ્ટિના ક્યા સુખમય સ્વર્ણ સિંહાસનને સુશોભિત કરીને, તું તારું મધુમય મહાગીત ગાઈ રહ્યો છે, મારા મહાકવિ ! જેના પ્રતિધ્વનિ પૃથ્વીમાં પીયૂષરૂપે બઘે જ પડી રહ્યા છે ? કયા સુખમય સ્વર્ણ સિંહાસનને સુશોભિત કરીને, તું તારું મધુમય મંગલ ગીત ગાઈ રહ્યો છે ?

*

પદ્મો પ્રકટે છે, પુષ્પો પ્રફુલ્લી ઉઠે છે, ને પવન એથી પ્રમત્ત બનીને તારી પવિત્ર પદરજને પામવા માટે પ્રયાણ કરે છે. જડ ને ચેતનમાં બધે જ એની મોહિની ફરી વળે છે. બાળકોની બોલી, કેલિ અને આંખમાં એનું અમૃત વહે છે, ને સંસારમાં એના સ્વર સુંદરતા ને સુમધુરતા તથા સત્યનું સર્જન કરતા, પોતાના પુરસ્કર્તાની પુરાતન કથા કહે છે.

*

આ અનંત અવનીના કયા આકાશી આસન પર આસીન થઈને, તું તારું મધુમય મહાગીત ગાઈ રહ્યો છે, મારા મહાકવિ ! જેના પ્રતિધ્વનિ પૃથ્વીમાં પીયૂષરૂપે બધે જ પડી રહ્યા છે ? કયા અમીમય આવાસમાં આરામપૂર્વક આસીન થઈને, તું તારું મધુમય મંગલ ગીત ગાઈ રહ્યો છે ?

*

કવિએ કવિતામાં એટલું કહ્યું ત્યાં તો, રાતરાણીની સૌરભવાળી સમીરલહરી પર સવાર થઈને કવિ સમ્રાટે કહેવા માંડ્યું : અરે મારા માનીતા કવિ ! તને ખબર નથી ? તારી પાસેમાં પાસે, પ્રાણની પણ પાસે, તારા અંતરના આસન પર આસીન થઈને, હું મારું મહાગીત ગાયા કરું છું. ને તને જાણ નહિ હોય, પણ તારા જ સ્નેહસંગીતમાંથી સંજીવન પામીને, એના જ સુધા રસથી સંસારમાં સરસતા ભરું છું ! તારા જ અંતરના અલૌકિક, અસાધારણ, અમૃતમય આસન પર આસીન થઈને, હું મારું મધુમય મહામહિમાવંતુ, મહાગીત ગાયા કરું છું !

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer