0૧. જન્મથી, ઔષધિથી, મંત્રથી, તપથી ને સમાધિથી - એમ સિદ્ધિઓ પાંચ પ્રકારે
પ્રાપ્ત થનારી હોય છે.
શરીર, મન ને ઇન્દ્રિયોમાં ફેરફાર થવાથી કેટલીક વિશેષ ને અલૌકિક શક્તિઓનો
આવિર્ભાવ થાય છે. તે સિદ્ધિ કહેવાય છે. તે સિદ્ધિ પાંચ પ્રકારે થઇ શકે છે :
૧) જન્મથી મળનારી સિદ્ધિ - જ્યારે જીવાત્મા મૃત્યુ પછી એક યોનિમાંથી બીજી
યોનિમાં જાય છે, ત્યારે તેના પ્રારબ્ધ પ્રમાણે, શરીર, મન ને ઇન્દ્રિયો બદલાઇને
કેટલીક લોકોત્તર શક્તિની પ્રાપ્તિ કરે છે. મનુષ્યયોનિથી દેવયોનિની પ્રાપ્તિ
થવાથી તેવી શક્તિ સહેજે મળી જાય છે. અથવા તો જન્માંતર-કર્મ કે પુરુષાર્થના
ફળરૂપે કેટલીક અલૌકિક શક્તિઓ કેટલાક લોકોત્તર પુરુષોમાં જન્મથી જોવા મળે છે.
શંકરાચાર્ય, વ્યાસ, કપિલ તથા જ્ઞાનેશ્વર તેનાં ઉદાહરણ છે. તે જન્મજા એટલે
જન્મથી મળનારી સિદ્ધિ કહેવાય છે.
ર) ઔષધિથી મળનારી સિદ્ધિ - ઔષધિના સેવનથી અથવા તો કલ્પ કરવાથી પણ કેટલીક
વિશેષ શક્તિની પ્રાપ્તિ થાય છે. અખંડ યૌવનની પ્રાપ્તિ, શીતોષ્ણતાને સહન કરવાની
શક્તિ, સમાધિ પ્રવેશ, વ્યાધિરહિતતા તથા ક્ષુધા-તૃષાનો વિજય - એવી એવી સિદ્ધિ
કેવલ ઔષધિના સેવનથી મળી શકે છે.
3) મંત્રથી મળનારી સિદ્ધિ - મંત્રના જપ, પ્રયોગ ને અનુષ્ઠાનથી પણ કેટલીક
વિશેષ શક્તિની પ્રાપ્તિ થાય છે.
૪) તપથી મળનારી સિદ્ધિ - તપ અથવા વિધિપૂર્વકની સાધનાથી સાધકનું તન, મન ને
અંતર તદ્દન નિર્મળ બની જાય છે, ને અલૌકિક શક્તિની પ્રાપ્તિ થાય છે. તપ દ્વારા
સિદ્ધિ મેળવનારા યોગી પુરુષો ભારતવર્ષમાં અનેકની સંખ્યામાં થઇ ગયા છે.
તે સિદ્ધિઓ મળતાં શરીર, મન ને ઇન્દ્રિયો પલટાઇ જાય છે કે અલૌકિક થઇ જાય છે.
તેને પરિણામાન્તર અથવા જાતિ-અંતર-પરિણામ કહેવામાં આવે છે.