૧3. પહેલાંના નવમા ને દસમા સૂત્રમાં નિરોધ સમાધિ વખતે થનારા ચિત્તના ધર્મ
પરિણામ, લક્ષ પરિણામ ને અવસ્થા પરિણામનું વર્ણન કરવામાં આવ્યું છે, તથા
અગિયારમા ને બારમા બે સૂત્રોમાં સંપ્રજ્ઞાત સમાધિ વખતે થનારા ચિત્તના ધર્મ
પરિણામ, લક્ષણ પરિણામ ને અવસ્થા પરિણામનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે એ
બધાથી પંચમહાભૂત ને બધી ઇન્દ્રિયોમાં થનારાં ધર્મ પરિણામ, લક્ષણ પરિણામ ને
અવસ્થા પરિણામની વ્યાખ્યા થઇ ગઇ.
૧) ધર્મ પરિણામ - કોઇ ધર્મીમાં એક ધર્મનો લય થઇને જ્યારે બીજા ધર્મનો ઉદય થાય,
ત્યારે તેને ધર્મ પરિણામ કહેવામાં આવે છે. નવમા સૂત્રમાં ચિત્તરૂપી ધર્મીના
વ્યુત્થાન સંસ્કારરૂપી ધર્મનું દબાઇ જવું ને નિરોધ સંસ્કારરૂપી ધર્મનું પ્રકટ
થવું કહીને આ જ પરિણામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગિયારમા સૂત્રના સંબંધમાં
પણ એવું જ સમજવાનું છે. તેમાં સર્વાર્થતારૂપી ધર્મનો ક્ષય ને એકાગ્રતારૂપી
ધર્મનો ઉદય બતાવવામાં આવ્યો છે. તે પ્રમાણે સંસારના બધા જ પદાર્થોનું સમજી
લેવાનું છે. માટીમાં પિંડરૂપ ધર્મનો ક્ષય અને ઘડારૂપ ધર્મનો ઉદય થાય છે, પછી
ઘડારૂપી ધર્મનો ક્ષય ને ઠીકરીરૂપી ધર્મનો ઉદય થાય છે. તેવી રીતે બીજી વસ્તુનું
સમજી લેવાય.
ર) લક્ષણ પરિણામ - લક્ષણ પરિણામ પણ ધર્મ પરિણામની સાથે થઇ જાય છે. વર્તમાન
ધર્મનો નાશ થાય તે તેનું અતીત લક્ષણ પરિણામ છે. અનાગત ધર્મનું પ્રકટ થવું તે
તેનું વર્તમાન લક્ષણ પરિણામ છે, ને પ્રકટ થતાં પહેલાં તે અનાગત લક્ષણથી યુક્ત
હોય છે. તે ત્રણે ધર્મનાં લક્ષણ પરિણામ છે.
અગિયારમા સૂત્રમાં ચિત્તના સર્વાર્થતા ધર્મના ક્ષયની વાત કહી છે, તે તેનું
અતીત લક્ષણ પરિણામ છે. વળી એકાગ્રતારૂપ ધર્મના ઉદયની વાત પણ તે સૂત્રમાં
કહેવામાં આવી છે. તે તેનું વર્તમાન લક્ષણ પરિણામ છે. ઉદય થયા પહેલા તે અનાગત
લક્ષણ પરિણામમાં હતો. બીજી વસ્તુ વિશે પણ એમ જ સમજી લેવાનું છે.
3) અવસ્થા પરિણામ - વર્તમાન લક્ષણયુક્ત ધર્મમાં નવીનતાને બદલે પ્રાચીનતા આવતી
જાય છે. તેમાં ક્ષણે ક્ષણે ફેરફાર થયા કરે છે, ને છેવટે તે વર્તમાન લક્ષણને
છોડીને અતીત લક્ષણમાં પ્રવેશ કરે છે. તે લક્ષણનું અવસ્થા પરિણામ છે. અગિયારમા
સૂત્ર પ્રમાણે, ચિત્તરૂપી ધર્મીનો વર્તમાન લક્ષણવાળો સર્વાર્થતારૂપી ધર્મ
દબાઇ જઇને અતીત લક્ષણને પ્રાપ્ત થાય છે. તે વખતે વર્તમાનકાળમાં તેનો દબાઇ
જવાનો જે ક્રમ છે, તે તેનું અવસ્થા પરિણામ છે. તે ઉપરાંત, એકાગ્રતારૂપી ધર્મ
અનાગત લક્ષણથી વર્તમાન લક્ષણમાં આવે છે. તે વખતે તેનો ઉદય થવાનો ક્રમ પણ
અવસ્થા પરિણામ કહેવાય છે. એ રીતે એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું
પરિવર્તન જ અવસ્થા પરિણામ કહેવાય છે. આ અવસ્થા પરિણામ કાયમ થયા જ કરે છે.
પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી કોઇયે વસ્તુ એક અવસ્થામાં રહેતી નથી.
બાલ્યાવસ્થાથી યુવાવસ્થા ને છેવટે વૃદ્ધાવસ્થારૂપી અવસ્થા પરિણામ એકસામટું નથી
થતું. પ્રતિક્ષણે તેમાં પ્રગતિ થયા જ કરે છે. પણ તેનું ભાન છેવટે થાય છે.
ધર્મપરિણામમાં ધર્મીના ધર્મનું પરિવર્તન થાય છે. લક્ષણ પરિણામમાં પહેલાંનો
ધર્મ અદૃશ્ય થઇ જાય છે, ને નવો ધર્મ પ્રકટે છે. એ રીતે ધર્મનું લક્ષણ બદલાય
છે ને અવસ્થા પરિણામમાં ધર્મની અવસ્થા બદલાય છે. ત્રણે પરિણામ ઉત્તરોત્તર
એકમેકથી સૂક્ષ્મ છે.
-------