Patanjali's authoritative treatise on Yoga

 

Yog Sutra

 

With Sacred text and its Gujarati translation

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

  પાતંજલ યોગદર્શન
  Patanjali's Yoga Sutra  
< BACK

Vibhuti Pada

NEXT >

Vibhuti Pada : Verses 46 - 50

 

४६. रूपलावण्यबलवज्रसंहननत्वानि कायसंपत्

૪૬. શરીરની શક્તિ કે સંપત્તિ કાયસંપત્ કહેવાય છે. તેમાં રૂપ, લાવણ્ય, બલ તથા વજ્ર જેવા દૃઢ સંગઠ્ઠનનો સમાવેશ થાય છે. એટલે યોગીની આકૃતિ અત્યંત સુંદર થઇ જાય છે. તે રૂપરૂપના અંબાર જેવો બની જાય છે. તેના શરીરમાં તેજ ને આકર્ષણ આવી જાય છે. તે ખૂબ બલવાન બની જાય છે, ને તેનું શરીર સુડોળ તેમ જ વજ્રના જેવું દૃઢ બની જાય છે.

-------

४७. ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वसंयमाद् इन्द्रियजयः

૪૭. મન સાથેની ઇન્દ્રિયોની પાંચ અવસ્થા છે : ગ્રહણ, સ્વરૂપ, અસ્મિતા, અન્વય ને અર્થતત્વ. તે અવસ્થાઓમાં સંયમ કરવાથી યોગીનો ઇન્દ્રિયો પર સંપૂર્ણ અધિકાર થઇ જાય છે. પાંચ અવસ્થા આ પ્રમાણે -

૧) ગ્રહણ - વિષયોનો અનુભવ કરતી વખતે મન સાથે ઇન્દ્રિયોની જે વૃત્તિના આકારની અવસ્થા હોય છે, તે તેમની ગ્રહણ-અવસ્થા કહેવાય છે.

ર) સ્વરૂપ - મન ને ઇન્દ્રિયોનું સ્વાભાવિક સ્વરૂપ જે લક્ષણ અથવા સંકેતથી સમજી શકાય છે, તે તેમની લક્ષણ-અવસ્થા કહેવાય છે.

3) અસ્મિતા - મન સાથેની ઇન્દ્રિયોનું સૂક્ષ્મ રૂપ, જેને તેમની સૂક્ષ્માવસ્થા પણ કહેવામાં આવે છે, તે અસ્મિતાની અવસ્થા કહેવાય છે.

૪) આન્વય - મન તેમજ ઇન્દ્રિયોમાં વ્યાપક થઇને રહેલો ત્રણે ગુણોનો સ્વભાવ (પ્રકાશ, ક્રિયા ને સ્થિતિરૂપે) તે તેમની અન્વય-અવસ્થા કહેવાય છે.

પ) અર્થતત્વ - મન સાથેની સઘળી ઇન્દ્રિયો પુરુષના ભોગ ને મોક્ષને માટે છે તે તેમની અર્થતત્વ-અવસ્થા અથવા સાર્થકતા છે.

ઇન્દ્રિયજયનો અર્થ મન સાથેની સઘળી ઇન્દ્રિયોનો જય સમજી લેવાનો છે.

-------

४८. ततो मनोजवित्वं विकरणभावः प्रधानजयश्च

૪૮. એવા ઇન્દ્રિયજયના પરિણામરૂપે મનના જેવી ગતિ શક્તિ, શરીર વિના પણ વિષયોનો અનુભવ કરવાની શક્તિ ને પ્રકૃતિ પર અધિકાર એવી ત્રણ જાતની સિદ્ધિ પણ મળી રહે છે. તે સિદ્ધિ આ પ્રમાણે -

૧) મનોજવિત્વ - સ્થૂલ શરીર ને ઇન્દ્રિયો સાથે મનના જેવા વેગથી એક ક્ષણમાં દૂર પહોંચી જવાની શક્તિને મનોજવિત્વ કહે છે. ગ્રહણ-અવસ્થામાં સંયમ કરવાથી તેની પ્રાપ્તિ થાય છે.

ર) વિકરણભાવ - સ્થૂલ શરીરના વિના જ દૂરના પદાર્થોને પ્રત્યક્ષ કરવાની ને પ્રાપ્ત કરવાની શક્તિને વિકરણભાવ કહેવામાં આવે છે. સ્વરૂપ અવસ્થામાં સંયમ કરવાથી તે સાંપડી શકે છે.

3) પ્રધાનજય - કાર્ય અથવા કારણરૂપે રહેલી પ્રકૃતિ પર સંપૂર્ણ અધિકાર થઇ જાય તેને પ્રધાનજય કહે છે. અસ્મિતા, અન્વય ને અર્થતત્વ અવસ્થામાં સંયમ કરવાથી તેની પ્રાપ્તિ થાય છે.

-------

४९. सत्त्वपुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं सर्वज्ञातृत्वं च

૪૯. સમાધિના શરૂઆતના અભ્યાસથી બુદ્ધિના રજોગુણ ને તમોગુણ સંબંધી સંસ્કાર ધોવાઇ જઇને કેવલ શુદ્ધ સત્વગુણના સંસ્કાર શેષ રહે છે. તે વખતે બુદ્ધિ ને પુરુષ બંનેની ભિન્નતામાત્રનું જ જ્ઞાન બાકી રહે છે. એવી સબીજ સમાધિ જેને સુલભ થઇ જાય છે, તેવા યોગીને સમસ્ત ગુણભાવો પર સ્વામીભાવની પ્રાપ્તિ થઇ જાય છે, ને તે સર્વજ્ઞ બની જાય છે.

-------

५०. तद्वैराग्यादपि दोषबीजक्षये कैवल्यम्

પ0. યોગીને પ્રાપ્ત થનારી સિદ્ધિઓમાં જો તે ફસાઇ કે અટવાઇ જાય, તો તેનો ઉદ્ધાર થઇ શક્તો નથી. યોગી પુરુષે આત્માને અસંગ, નિર્વિકાર ને મુક્ત સમજીને તથા ત્રિગુણાત્મિકા પ્રકૃતિ તથા તેના કાર્યને પરિવર્તનશીલ ને દુઃખદ માનીને ગુણ તથા તેના કાર્યથી વિરક્ત થઇ જવું જોઇએ. તેમ થવાથી દોષના બીજરૂપ અંતિમ વૃત્તિ તેમ જ વાસનાનો પણ ક્ષય થઇ જાય છે, ને નિર્બીજ સમાધિની પ્રાપ્તિ થાય છે. તે દશામાં ચિત્ત પોતાના કારણમાં વિલીન થઇ જાય છે, ને પુરુષની પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા થઇ જાય છે. તે જ કૈવલ્ય કહેવાય છે. તેની પ્રાપ્તિ માટે યોગીએ ખૂબ સાવધાન થઇને પુરુષાર્થ કરવાની જરૂર છે.
 

(From Shri Yogeshwarji's book entitled 'Patanjal Yog Darshan')

Patanjali's Yog Sutra

| Samadhi Pada | Sadhan Pada | Vibhuti Pada | Kaivalya Pada |

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer