કૃષ્ણ કૃષ્ણ જપો ઓ જિહવા, કૃષ્ણ જગમાં સાર છે;
રામ રામ રટો ઓ જિહવા, રામ જગમાં સાર છે.
પ્રેમગાન કરો સદાયે, એ જ અમૃતધાર છે,
કીર્તન કરી મસ્ત રાચો, પ્રેમ જગમાં સાર છે. ... કૃષ્ણ.
કૃષ્ણ, કાલી, રામ, શંકર, એક એ ઉદ્દગાર છે,
જે ગમે તે નામ ગાઓ, ગીતામાં ઉદ્ધાર છે ... કૃષ્ણ.
કર્ણ બનજો પાત્ર ઉત્તમ, સુધા-પારાવાર છે,
પ્રાણ આસન થજો એનું, એ જ જગદાધાર છે ... કૃષ્ણ.
રોમ રંગાજો રસથકી, દેહ દિલરૂબા બનો,
હૃદયમાં રણકી રહો એ, એ જ કરુણાગાર છે ... કૃષ્ણ.
એ જ સુખ ને શાંતિસાગર સેવ એને પ્રેમથી,
ચિત્ત, એના ચારુ ચરણે સ્નાન કરજે નેમથી;
જો પછી આનંદ મળશે, એ જ સરજનહાર છે,
આ બધી એની જ લીલા, એહનો દરબાર છે ... કૃષ્ણ.
પ્રાણ બંધાશો ન પ્રીતે સ્વલ્પ કોઈ લોકની,
પ્રેમ સાગર પૂર્ણ આ તો મુગ્ધ તો જાઓ બની;
બની ‘પાગલ’ ચહો એને, દુઃખ એ હરનાર છે,
સિદ્ધિ મુક્તિ અર્પનારા, શાંતિના કરનાર છે ... કૃષ્ણ.
- શ્રી યોગેશ્વરજી