કલિયુગ સર્વ યુગોમાં ન્યારો
પંડિત છોને કહે ભયંકર,
સૌ યુગથી છે સારો;
બહારથી બેહાલ છતાંયે,
અંદર ખૂબ રૂપાળો ....કલિયુગ
સતયુગ ત્રેતા દ્વાપર કરતાં,
બિલકુલ નથી નઠારો;
સ્વલ્પ સાધને શાંતિ મુક્તિ દે,
કરતાં જ્ઞાન ઝગારો ....કલિયુગ
શરણ લઈ લો પરમાત્માનું,
તેમ દયાવ્રત પાળો;
સ્મરણ મનનમાં મગ્ન બનો તો,
આત્મ તરત ઉદ્ધારો ....કલિયુગ
કટુતા ને કંકાસ વ્યસનથી,
પ્રાણ સદાય ઉગારો;
તો તો તરતાં વાર ન લાગે,
વિષયો પર ના વારો ....કલિયુગ
નિર્મળ મનમાં પ્રેમ જગાવો,
આવે ભ્રમનો આરો;
થોડા શ્રમથી વધુ ફળ પામો,
પામો દિવ્ય કિનારો ....કલિયુગ
નથી થયો આવો યુગ કોઈ,
નિયમ બરાબર પાળો;
પવિત્ર પળપળના પુરૂષાર્થે,
જીવન પૂર્ણ ઉજાળો ....કલિયુગ
- શ્રી યોગેશ્વરજી