તમને જોતાં વેંત જ મારી વાણી જાયે થંભી,
કરું ઉપાય અનેક છતાં ના વાત શકું આરંભી;
આંસુ પ્રવાહો આંખે ચાલે, પ્રાણ ધડકતો મારો,
અનંત સુખ સાંપડતાં મારો મટી જાય શ્રમ સારો.
મંગલ સુખનું દર્શન કરતાં હૈયું હરખી જાય,
ભાવ વિભોર બનીને ઉછળે, સ્હેજ સમાધિ થાય;
યોગ સાધના તપ ને વ્રતનું ફળ મળતું મુજને,
તીરથનો મહિમા ફેલાયે, પુલકિત થાય તને.
‘પાગલ’ પ્રાણ પ્રસન્ન બનીને પૂજા કરે તમારી,
રોમ રોમમાં અનુરાગ તણી ખીલી ઊઠે ક્યારી;
એ ઉત્સવની તોલે કોઈ ઉત્સવ ખરે ન આવે,
કો’ બડભાગી જન એ પાવે, કો’ બડભાગી ગાવે.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)