જ્યારે સૃષ્ટિ સકળમાં રાજો,
નયન અમારાં કેમ ન નિરખે, વ્યાપક વિશ્વ વિરાજો !
તારામાં, વાદળમાં, કુસુમે દિગદિગંતમાં રાજો
પ્રેમીજનને તો પણ શાને વ્યર્થ સદા તલસાવો ?
અંધારા પડદા અંતરના, કૃપા કરી ના કાપો,
ત્યાં લગ કેમ તમારું દર્શન, કેમ કરી નિરખાઓ !
વાદળ પાછળ ચંદ્ર છુપાયો, કેમ કરી નિરખાયે ?
અહંકાર ને મમતાના પટ, દર્શન કેમ જ થાયે ?
તમારી કૃપા વિના લેશ ના, ઝાંખી તમારી થાયે;
પ્રેમ કરીને જે જાણ્યું તે, પ્રેમે આજ ગવાયે.
- શ્રી યોગેશ્વરજી