અવિચળ આનંદે જીવન મારું પૂર્ણ કરીશ સદાય,
પરમાનંદ મહીં જીવન મારું પૂર્ણ કરીશ સદાય;
જે હોય છેક ગંભીર તે ભલે માણે ના ઉલ્લાસ,
ઉલ્લાસ મહીં જીવન વહશે બની પરમ ઉલ્લાસ.
વદને તાળાં જેના તે ના હસે, ગાય ના ગાન,
સ્મિત નર્તન ને કીર્તન કરતાં હું તો થઉં ગુલતાન.
જે અકાળ વૃદ્ધ બન્યા તે મૃત્યુ પથારી માંડે આજ,
ચિર યૌવન મારે કાજ- હું તો શિશુના સરખો હરકાલ.
છે વિષની નહીં કટોરી જીવન, અમૃતનો છે જામ,
અધરે હર રોજ લગાવી એને થઈ રહું કૃત કામ.
આ અભિશાપ નથી અવની,અનંત અમૃતનો અવતાર,
ગાંભીર્ય મૃત્યુ કે મૌન મહીં પણ પરમ રહ્યો આસ્વાદ.
આ જીવન મંગળ મધુર મહોત્સવ,પૂર્ણતા તણુંજ પાન,
હર સ્થિતિમાં ગાવું ધન્યતાતણું ગૌરવ ભીનું ગાન.
- શ્રી યોગેશ્વરજી