વેર નહિ પરંતુ પ્રેમ અને દ્વેષ નહિ પરંતુ રે’મ જ આખરે વિજયી નિવડશે,
સંસ્કૃતિની સફરમાં, કાળની આગેકૂચમાં,
વિજયી નિવડશે.
સ્વચ્છંદ નહિ પરંતુ સંયમ, લાલસા કે વાસના નહિ પરંતુ સદ્દભાવના જ
આખરે તો સફળ થશે, શ્રેયસ્કર બનશે.
સંસ્કૃતિની સફરમાં, કાળની આગેકૂચમાં,
વ્યક્તિ તથા સમષ્ટિનું પરિત્રાણ કરશે.
ભોગ નહિ પરંતુ યોગ અને વિરોધ નહિ, મૈત્રીનાં જ મૂલ્યાંકન
આખરે આશીર્વાદરૂપ ઠરશે, મહીમંડળને મધુતાથી મઢશે.
સંસ્કૃતિની સફરમાં, કાળની આગેકૂચમાં,
જીવનને જ્યોતિર્મય કરીને જગતને જીવવા જેવું કરશે.
યુદ્ધ નહિ પરંતુ શાંતિ, અસત્ય નહિ પરંતુ સત્ય;
નિર્દયતા નહિ પરંતુ દયા, બંધન નહિ પરંતુ મુક્તિ;
પશુતા નહિ પરંતુ માનવતા અને ભેદભાવ નહિ પરંતુ અભેદભાવની જ વીણા
વિશ્વમાં વાગી ઊઠશે, ચેતનાની બધી જ જ્યોતિઓ જાગી ઊઠશે,
એવા વિશ્વાસથી આગળ વધ.
ઓ જ્યોતિર્મય, ઓ મારા દેશ !
સંસ્કૃતિની સફરમાં, કાળની આગેકૂચમાં,
વિષાદનું વમન કરીને, પીડાને પી જઈને
આપત્તિ અને અવમાનથી અલિપ્ત રહીને આગળ વધ !
- શ્રી યોગેશ્વરજી