વિજ્ઞાનના વિકસતા જતા યુગમાં
માનવનું મન કેટલું બધું અવિકસિત અને અલ્પ છે,
એનો ખ્યાલ સહેલાઈથી આવી જાય છે, ઓ અંતર્યામી !
સાંપ્રત સમયમાં બનતી ઘટનાઓ પરથી,
એનો ખ્યાલ સહેલાઈથી આવી જાય છે.
વિજ્ઞાન આગળ વધ્યું છે, અને દિનપ્રતિદિન આગેકૂચ કરતું જાય છે,
પરંતુ માનવનું મન એ કૂચને નથી પહોંચી શકતું.
એ મનમાં એ જ અહંતા, મમતા, લાલસા, તથા તિરસ્કારવૃત્તિએ ઘર કર્યું છે.
વિશ્વબંધુત્વના અનેરા આદર્શ પર એ મન આસીન નથી થઈ શક્યું.
એટલા માટે તો દાવાનલ છે, દુઃખ છે, દર્દ છે.
જગત જાણે જ્વાલામુખીના શિખર પર બેઠું છે.
જ્વાલામુખી ક્યારે ફાટશે, પોતાની પ્રચંડ જ્વાલાથી જગતને જલાવી નાખશે
તે નથી કહી શકાતું.
એ મનને હવે મધુમય કરી દો.
વિજ્ઞાનના વિકસતા જતા યુગમાં માનવીનું મન પણ વિકસે,
મંગલમય મહાન બને, ઝંકૃત થાય અવનવીન રસે,
સંસારમાં સ્વર્ગને સાકાર કરવાનું સ્વપ્ન તો જ સાકાર બને.
ઓ અંતર્યામી ! એ સુમધુર સ્વપ્ન તો જ સાકાર બને.
- શ્રી યોગેશ્વરજી