આ સંસારમાં હું નમ્રાતિનમ્ર બનીને શ્વાસ લઉં,
પ્રત્યેક પ્રાણીને પરમ પ્રેમનું પ્રતીક માનીને પ્રણામ કરું,
એનું પાદપ્રક્ષાલન કરવામાં પણ પ્રસન્ન થાઉં.
પરંતું અનીતિ, અનૃત, આતંક અને આક્રમણની આગળ મસ્તક ના નમાવું.
એટલી અનુકંપા કરી દેજે, પ્યારા પરમાત્મન્ !
અનર્થકારી અથવા અત્યાચારીની આગળ મસ્તક ના નમાવું !
એનો તો મારી સઘળી શક્તિથી, મારી સકળ સૂઝથી,
મારી સમસ્ત સાધનસામગ્રીથી સામનો કરું : છેવટ સુધી સામનો કરું.
અને એમ કરતાં સહન કરું,
બેહાલ બનું કે ખપી જઉં તો પણ શું ?
આત્માના અવાજ પ્રમાણે
તારા પર શ્રદ્ધા રાખીને ચાલવામાં ને પ્રતિકાર કરવામાં
પાછી પાની તો ન જ કરું, હે પ્યારા પરમાત્મન્ !
અનૃત, અનીતિ, આતંક, આક્રમણના આસુરી બળ સામે
નતમસ્તક તો ના જ બનું :
શાંતિનો સુખમય શ્વાસ પણ ત્યારે જ લઉં,
જ્યારે તારા માર્ગદર્શન ને તારી મદદથી એને નિર્મૂળ કરું,
અથવા એની સામે વિજયને વરું !
- શ્રી યોગેશ્વરજી