હનુમાનજીએ અયોધ્યાની રાજસભામાં, રામની સમક્ષ,
કહે છે કે, પોતાની છાતીને ખોલી બતાવી.
અને હૃદયમાં રહેલા રામની પ્રતિમાની સર્વે સભાજનોને પ્રતીતિ કરાવી.
ત્યારે જ શ્રીરામને, સીતાને, તથા બીજા બધાને ખાતરી થઈ કે,
હનુમાનજી પવિત્ર પ્રેમની પ્રતિમારૂપ છે.
એમના હૃદયના નાના કે મોટા કોઈયે ખૂણામાં,
શ્રીરામ વિના બીજું કાંઈ જ નથી.
મારા હૃદયને એવી રીતે ખોલી બતાવવાની જરૂર છે ?
તમારા વિના મારા હૃદયમાં બીજું કશું જ નથી રમી રહ્યું,
બીજા કોઈનું યે આસન નથી થયું.
એ વાતની પ્રતીતિ મારા દિલમાં ડોકિયું કરવાથી જ નહિ,
મારા રોમરોમનું દર્શન કરવાથી સહેલાઈથી થઈ રહેશે:
સ્વાભાવિક રીતે જ થઈ રહેશે.
- શ્રી યોગેશ્વરજી