દેવદારનાં વૃક્ષોની સુમધુર પવનલહરી લઈને આવનારો
શરદઋતુનો સોનેરી સમય કેટલો બધો સુંદર, સરસ, શાંત, સુધામય લાગે છે !
સારસપક્ષીની પંક્તિથી સરિતાતટને સુશોભિત કરનારો,
સુમધુર સ્નેહનું સિંચન કરતો સમય,
મારા રાગથી રંગાયેલા વિરહી હૃદયને વ્યથાથી ભરે છે :
તારે માટે બેચેન કરે છે.
ચાંદની રાત છે.
ઠંડો, વહાલની વીણાનું વાદન કરતાં વિશ્વમાં વ્યાપક બનનારો, વાયુ છે.
સમીપના સરોવરમાં સ્નાન કરતી કુમુદિની સાથે કેલિ કરતાં
ચંદ્રનાં ચારુ કિરણ છે.
રસમાં રાચી રહેલી, રઢિયાળી રજનીગંધાની હૃદયમાં રસ રેલાવનારી સુવાસ છે.
શાંતિ છે અને એકાંત પણ છે.
એ બધું તારા અમૃતના આગાર જેવા અંગાંગમાં એક થવા, લપાઈ રહેવા, પ્રેરે છે.
તારા આત્માની સાથે, અનુરાગની અક્ષય અંજલિ આપતાં,
ઓતપ્રોત થઈ જવા આતુર કરે છે.
શરદઋતુનાં ટૂંકા દિવસ ને લાંબી રાત તારા સંસર્ગ માટે આતુર કરે છે.
તારા અમીમય આશ્લેષમાં જે રાત
કોઈ સુખમય, શાંતિસભર, સમાધિમય, સ્વર્ગીય ક્ષણની જેમ વીતી જતી હોત,
તે તારા વિરહમાં અતિશય લાંબી લાગે છે.
સમુદ્રમંથનથીયે વધારે મંથન જગાવીને શોકે ભરે છે :
ના જાણે આવી કેટકેટલી કરુણાતિકરુણ કવિતા ધરે છે, વેદના ધરે છે.
- શ્રી યોગેશ્વરજી