આ જીવનને ચાહું છું. પ્રેમ કરું છું. માનની નજરે જોઉં છું.
નિષ્ફળતા ને નિસાસાથી ડરનારા સાધક !
તું તારી ધ્યેયપ્રાપ્તિના પુરુષાર્થમાં સફળ નહિ થઈ શકે.
આ માર્ગમાં નિષ્ફળતા ને નિસાસા તો આવવાનાં જ.
વિધ્નો અને વેદનાની સાથે પણ કામ લેવું પડવાનું.
નિંદા, ટીકા તથા આલોચનાનો અનુભવ પણ કરવો પડવાનો;
સુધાની સાથે ગરલના ઘૂંટડા પણ પીવા પડવાના.
મિત્રો મૂકી દે, સંબંધી તારી સાથેનો સ્નેહસંબંધ તોડી દે,
તને એકલો અનાથ જેવો છોડી દે, એવું પણ બનવાનું.
એ સૌને શૂરાતન સાથે સામી છાતીએ સહન કરી શકે
એને માટે જ પૂર્ણતાના પવિત્ર પ્રવાસની પગદંડી છે :
અમૃતપદનો અવકાશ છે :
આત્મોન્નતિના સર્વોત્તમ શિખરનું આનંદપૂર્વકનું આરોહણ છે :
માટે ડર્યા વિના આગળ વધ :
વાવાઝોડાં, વહ્નિ, વરસાદ, વિનાશમાંથી યે આગળ વધ.
નિરાશ બનીને બેસી રહીશ તો પાછળ રહી જશે.
હિંમતપૂર્વક કમર કસીને આગળ વધીશ તો સુખ, શાંતિ, સંપૂર્ણતાનો સમ્રાટ થશે.
- શ્રી યોગેશ્વરજી