અરે મારા જ્યોતિર્મય જીવન !
તને મેળવીને કૃતાર્થ છું.
સર્જનના આરંભથી આજ સુધી,
સઘળાં શરીરોને જોઈ વળ્યો.
પરંતુ મને કહેવા દે કે તારા જેવું જીવન ક્યાંય નથી જોયું.
ના, દેવલોકમાં ય નહિ.
તું તો એક, અનન્ય, અનેરું, અજોડ છે.
લોકો કહે છે તું અંત છે. હું તને અનંત માનું છું.
લોકો કહે છે તું અપૂર્ણ છે. હું તને પૂર્ણ જાણું છું.
લોકો તને ગંદકીનું ઘર ગણે છે, નિરર્થક કહે છે.
હું તારા શતશત સુવાસિત સુમનની સુવાસ માણું છું.
તને તથા તારે લીધે મારા અખિલ ઐશ્વર્ય અને અસ્તિત્વને સાર્થક જાણું છું.
અરે મારા જ્યોતિર્મય જીવન !
હું જ્યોતિર્મય હતો માટે તું જ્યોતિર્મય બન્યું,
કે તારે લીધે હું જ્યોતિર્મય થયો એ વિવાદમાં નહિ પડું.
પરંતુ મારે માટે તું જ્યોતિર્મય છે,
શુભ્ર, સુવાસિત, ચેતનમય છે એ સાચું છે.
માટે જ કહું છું, અને રોજની પેઠે આ પર્વદિવસે પણ કહું છું,
આવ, સંસારને સત્ય, શુભ્ર, સૌરભે ભર, સજીવન કર, જ્યોતિ ધર,
એ રીતે મહિમામાં મળ, વિશાળતાને વર.
અરે મારા જ્યોતિર્મય જીવન !
તને મેળવીને કૃતાર્થ છું.
- શ્રી યોગેશ્વરજી