ખૂબ જ ધીરજ ધારણ કર્યા પછી,
મજબૂત મને મંથન કર્યા પછી જ માખણ મળે છે,
તેમ ધીરજપૂર્વકના સતત પરિશ્રમ પછી જ સિદ્ધિ કે શાંતિ મળે છે,
સાધક, તું આટલો બધો ઉતાવળો ને ઉદાસ કેમ બને છે ?
ખૂબ ઊંડે ઊતર્યા પછી
ને મોતનો ભય માર્યા પછી જ સાગરમાંથી મોતી મળે છે,
તેમ સંસારની ક્ષુલ્લક વાતોથી વિમુખ બનીને
સાધના કરવાથી જ સિદ્ધિ કે સફળતા મળે છે,
સાધક, તે પછી જ સિદ્ધિ કે શાંતિ મળે છે :
તું આટલો બધો ઉતાવળો કે ઉદાસ કેમ બને છે ?
અત્યારે તને મુશ્કેલી લાગે છે, અંધકાર દેખાય છે,
પણ મુશ્કેલી અને અંધકારમાંથી પણ જે આગળ વધે છે
તેને જ આખરે ધરતીની ખાણનો ઉત્તમ ખજાનો મળે છે :
સાધક, તેને જ આખરે અંદરની દુનિયાનો ઉત્તમ ખજાનો મળે છે :
તું આટલો બધો ઉતાવળો ને ઉદાસ કેમ બને છે ?
- શ્રી યોગેશ્વરજી