કવિતાના પ્રેમમય પ્રવાહને પહેલાં તો મારા હૃદયમાં પ્રકટવા દેજે;
તે પછી તેને શબ્દોમાં ઉતારજે.
હે કવિરાજ ! પહેલાં તેને મારા હૃદયમાં પ્રકટવા દેજે !
કવિતાના સનાતન સૌન્દર્યને પહેલાં તો મારા હૃદયમાં પ્રકટવા દેજે;
તે પછી તેને સ્વર ને સૂરમાં ઉતારજે.
હે કવિરાજ ! પહેલાં તેને મારા હૃદયમાં પ્રકટવા દેજે !
સત્યના પરમ પ્રકાશને સૌથી પહેલાં મારા પ્રાણમાં પ્રકટવા દેજે;
મારા અંધારા અંતરને તેથી પ્રકાશમય થવા દેજે;
તે પછી તેને છંદોમાં ઉતારજે.
હે કવિરાજ ! પહેલાં તેને મારા હૃદયમાં પ્રકટવા દેજે !
સુરદાસની આંખે અંધારું હતું.
આંખને અળગી કરીને તેણે અંધારુ દૂર કર્યુ.
તે પછી જ પ્રકાશના પાવન કિરણ જેવું તારું કાવ્ય ત્યાં પ્રકટયું;
તે પછી જ તારું કાવ્ય ત્યાં પ્રકટ્યું.
તેવી રીતે હે મહાકવિ !
મારી અંતર-આંખને આવરી રહેલો અંધકાર દૂર થાય,
વિકાર ને વાસનાની આંખ દૂર થાય,
ને પ્રેમના પરિમલ જેવું તારું મહાકાવ્ય પ્રકટ થાય;
તારા સંગીતમય સ્પર્શથી મારી વીણાના તાર ઝણઝણી ઊઠે;
સમસ્ત સૃષ્ટિમાં તારું દર્શન ને તારા સંગીતનું શ્રવણ થાય;
તે પછી જ, હે મહાકવિ !
તારું મનહર કાવ્ય ભલે મારી વીણા પર પ્રકટ થાય;
જીવનના આનંદના આભાસરૂપે ભલે મારી વીણા પર પ્રકટ થાય !
- શ્રી યોગેશ્વરજી