જો તું કહે, 'હું અનુભવ કરી ચૂક્યો',
તો તું અનુભવને સમજતો નથી;
ને જો કહે, 'હું જાણી ચૂક્યો',
તો તું જાણતો નથી;
જ્ઞાનનો મહિમા એવો ગહન છે.
જો તું કહે, 'હું પ્રેમના પ્યાલાને અધરે લગાવીને હમેશાં મસ્ત છું',
તો સમજ કે તું મસ્ત નથી;
ને જો કહે કે, 'પ્રેમના પુનિત પ્રભાવથી કૃતકૃત્ય છું',
તો માન કે તું પૂરો કૃતકૃત્ય નથી.
ભલા, પ્રેમના મહિમાને 'હું' શું જાણું ?
ન જાણે કેટકેટલાં 'હું' એ ગહન દરિયાનું માપ લેવા ગયાં ને એમાં જ ગળી ગયાં !
મારા શુદ્ધ, સાત્વિક ને એથી જ નજીવા 'હું' નો ત્યાં શો હિસાબ ?
આ તો એક એવી જ્યોત્સના છે, જે પોતાના ચંદ્ર સાથે એકાકાર થઈ ગઈ છે;
એવી ઉષા છે, જે પ્રતીચિના હૃદયની સંપૂર્ણ સુરતા સાથે સુશોભિત થઈ છે;
એવી બંસરી છે, જે જડ ને ચેતનનો ભાવ ભૂલીને
અધરના આસ્વાદમાં જ એક થઈ છે !
કહે ભલા, એ ગુણગાન શેં ગાય,
ને મહિમાની અભિવ્યક્તિયે એનાથી શેં થાય ?
ને એ જ ઠીક છે,
કેમ કે જેમણે જાણ્યું છે તેમના હોઠ બંધ થઈ ગયા છે;
ને પ્રેમનું પરમપીયૂષ જેમણે પીધું છે,
તે સદાને સારુ સૂધબૂધ ભૂલી ગયા છે :
તે જ તેનો મહિમા બની ગયા છે.
મારી પાસે આવીને પણ જો તારે પ્રેમનો મહિમા પૂછવાનો હોય,
તો એમ સમજ કે મારામાં પ્રેમની મણા છે,
અથવા તો હે પ્યારા જિજ્ઞાસુ ! તારામાં એની જરા ઓછી સ્પૃહા છે !
- શ્રી યોગેશ્વરજી