પ્રેમના પવિત્ર બંધનથી જે ના મળે
તે મુક્તિ ને શાંતિ હે વૈરાગી, મારે ઈષ્ટ નથી!
જે હૃદય વજ્રથી પણ સખત બને,
પથ્થરથી પણ એટલું જડ બને
કે તેને ભાવના કે લાગણીનો સ્પર્શ પણ ના થઈ શકે,
પ્રેમનો મહાસિંધુ જેના તટને તદ્દન પાસે છતાં પણ ના પલાળી શકે,
એ હૃદયની ને એથી સાંપડતી સિદ્ધિની
ઓ વૈરાગી, મને જરા પણ તમા નથી
પ્રેમના પવિત્ર બંધનથી ના મળે
તે મુક્તિ ને શાંતિ, હે વૈરાગી, મારે ઈષ્ટ નથી !
આ ફૂલ ને આ વૃક્ષ ને આ પંખીની સુમધુર સૂરાવલિ :
મને તો એમાં મળી છે મુક્તિ ને શાંતિ,
ઓ વૈરાગી ! ને તેથી જ કહું છું કે
પ્રેમ એ જ મારી મુક્તિ છે;
પ્રેમ વિનાની મુક્તિ મને માન્ય નથી;
ને તે હોય તો મારે મન તેની લગીરે કિંમત નથી.
- શ્રી યોગેશ્વરજી