'કોણ છે અહીં આ એકાંત પ્રદેશમાં ?'
'એ તો હું.'
'હું કોણ ?'
'તારે તેની શી જરૂર છે ?'
'જરૂર હોય કે ના હોય,
આટલી કરુણ અસહાય અવસ્થામાં હોવાથી જ પૂછું છું.'
'તો શું તું મને આશ્રય આપશે ?
હું ખરેખર, અસહાય છું.'
'હા....કેમ નહિ.....?'
'પણ મારું દાન તને ખબર છે ?
મારા એક હાથમાં અનંત અસીમ આંસુ છે
ને બીજામાં અંતરને તોડી નાખનારી ભીષણ ઊંડી વેદના !
બોલ, તૈયાર છે ?
જીવનભર તારે મારા પ્રિયતમ રહેવું પડશે !'
'પણ મેં સાંભળ્યું છે કે તમારા દૈવી દાનમાં અમૃત છે.'
'હા, હા, મારા નાથ !
તારે માટે એ અમૃત જ છે.
આવ ત્યારે, મારો સ્વયંવર થયો!'
'પણ તારું નામ ?'
'નામ ?
બધા મને પ્રેમ કહે છે.
તું ફાવે તે કહેજે !'
- શ્રી યોગેશ્વરજી