ચાંદની રાતમાં તે મારે દ્વારે આવીને ઊભી રહી.
તેનાં નૂપુરના ઝંકારથી મારી આંખ ઊઘડી.
ચંદ્રમાના પાવન પ્રકાશમાં,
સંસારના સુધાસભર સરોવરમાં પ્રકટેલી પોયણી જેવી
તે પ્રેમાળ ને રૂપાળી હતી.
એના કરમાં મોહક માળા હતી,
કેશરાશિ સારોયે ફૂલથી ભર્યો હતો,
ને અંગેઅંગમાંથી ફોરમ ફેલાતી હતી.
ચાંદની રાતમાં તે મારે દ્વારે આવીને ઊભી રહી.
આંસુ સારતી એક બીજી સુકુમારી પણ તેની પાછળ ઊભી હતી.
તેણે કહ્યું : 'હું સિદ્ધિ છું, ને આ રડનારી દેવી ભક્તિ.'
'પણ તે રડે છે શા માટે ?' મેં પૂછયું.
'કેમ કે આજે મારો તમારી દ્વારા અંગીકાર થશે.
પણ જેમણે અંગીકાર કર્યો છે,
તેમની દ્વારા આજ સુધી આ દેવીને સોસવું પડ્યું છે, માટે એ રડે છે.'
મેં કહ્યું: 'ના, ના. આ વખતે વાત જુદી જ થશે.
બંનેનો સંબંધ બહેનનો રહેશે.'
ને એ બંનેએ મારા કંઠમાં માળા ધરી.
ને એ બંનેનાં શ્રીમુખ પર સ્મિતની રેખા ફરી વળી.
- શ્રી યોગેશ્વરજી