તારા ચંદનચર્ચિત ચરણ પર ફૂલ થઈને પડ્યો છું,
એ જ મારી કૃતકૃત્યતા છે,
એની જ મને શાંતિ છે.
તું મારું ગમે તે કર -
ચાહે તો મને છુંદી નાખ
કે તારા શિર પર ચઢવાનો લ્હાવો આપ -
હું તો તારા ચરણ પર ફૂલ થઈને પડ્યો છું.
એની મને નિરાંત છે;
એ જ મારી શાન્તિ છે.
હું તો તારાં નેહ નીતરતાં નયન તરફ નયન માંડીને પડ્યો છું.
ચાહે તો તું તેને છેદી નાખ
કે તારા નેહથી નિતારી નાખ.
હું તો તારાં નયન તરફ નયન માંડીને પડ્યો છું.
એ જ મારી કૃતકૃત્યતા છે;
એમાં મારી શાન્તિ છે.
હું તો તારા રસઝરતા હૃદય આગળ મારું હૃદય લઈને પડ્યો છું.
ચાહે તો તું તેને રગદોળી નાખ
કે તારું મંગલમંદિર બનાવ.
હું તો તારા હૃદય આગળ હૃદય લઈને પડ્યો છું.
એની મને નિરાંત છે;
એ જ મારી શાન્તિ છે.
હું મારો ધર્મ જાણું છું, ને સ્વભાવ સમજું છું;
ને તેથી જ કૃતકૃત્ય છું.
ચાહે તો તું આશીર્વાદની માળા લઈને આવ કે પછી ના આવ;
હું તો મારો ધર્મ સમજું છું
ને તેથી જ કૃતકૃત્ય છું.
- શ્રી યોગેશ્વરજી