અંતરનો અનુરાગ થયો છે !
દિવસે દિવસે વધતાં વધતાં
ભાવોનો મધુબાગ બન્યો છે !
કેમે કરતાં ના જ ટળે એ,
ના ટળશે જીવનમાંથી તે;
તનમનમાંહી મળી ગયો છે,
એક નવો સંસાર થયો છે !
જ્યોતિ જલે જેવી મંદિરમાં,
પ્રકાશ તેનો ખૂબ ભર્યો છે;
તિમિરપડળ તુટ્યાં છે સઘળાં,
ઉત્સવ અપરંપાર થયો છે.
એક તમારા ભાવ ભર્યા છે,
અન્ય વિચાર ખરે જ મર્યા છે;
રાગ તમારો એક રહ્યો છે,
પ્રાણ નવીન પ્રફુલ્લ થયો છે.
અમર રહે અનુરાગ ભલે તે,
જીવનને અમૃતમય છે એ;
દિવસે દિવસે વધે ભલે ને,
તેથી તો મુજ વેશ ફર્યો છે !
તમને પણ અનુરાગ સદા હો,
મુજ માટે મધુભાવ સદા હો;
અનુરાગતણા સંગમસ્થલ પર
મિલન આપણું આજ મહા હો !
મારા પર ઉપકાર કર્યો છે,
અંતરમાં અનુરાગ ભર્યો છે !
- © શ્રી યોગેશ્વરજી