જાય ના મનડું તમોને મૂકીને ક્યાંયે,
સુએ ના સંસારના કો’ વિષયની છાંયે;
તમારા દિનરાત પ્રેમપિયૂષમાં ન્હાયે,
જાય ના મનડું તમોને મૂકીને ક્યાંયે !
તમારી લીલા નિહાળે, સાંભળે, ગાયે,
તમારાં ચરણો તજીને પ્રાણ ના જાયે;
પ્રીત એવી થઈ, પ્રતિદિન પ્રબળ તે થાયે;
જાય ના મનડું તમોને મૂકીને ક્યાંયે !
તમારી આરાધના ઉરમાં અખંડ થતી;
થઈ ખૂબ વિશાળ જે અંકુર સમાન હતી;
તમારા રસમાં રમીને જિંદગી જાયે;
જાય ના મનડું તમોને મૂકીને ક્યાંયે !
મળીએ ક્યારે ઉભય, ઉત્સવ વળી થાયે,
પ્રાણ ‘પાગલ’ પ્રેમપ્યાલી પી વળી પાયે !
યોગ્ય લાગે તે કરો, આવો તરત સહાયે;
જાય ના મનડું તમોને મૂકીને ક્યાંયે !
- © શ્રી યોગેશ્વરજી