ઉકળાટ, ઉકળાટ, ઉકળાટ, ચારે તરફ ઉકળાટ. ઉપરનીચે, આગળપાછળ, સર્વત્ર ઉકળાટ. ઘરની દીવાલો તો તપે જ છે પરંતુ સાથે સાથે તન પણ તપે છે. એની અસર કેટલાકની ઉપર એટલી બધી અમોઘ, અજબ, અસાધારણ રીતે પડે છે કે મન પણ તપે છે. ઉનાળો તો ખરો જ, પરંતુ ભર ઉનાળો છે એટલે તાપ હોય જ. બધું તપે જ. ના તપે તો જ નવાઈ કહેવાય. તપેલા માનવો, પંખીઓ, પશુઓ, વિશાળ વડલાની નીચે જાય છે, બેસે છે, વિશ્રામ કરે છે. તાપ તથા થાકને મટાડે છે. ત્યાં કોઈએ પરબ બેસાડી છે. પરબનું મીઠું, ઠડું, પાણી પીને સૌ શાંતિ અનુભવે છે. એવા તાપમાં કોઈક ઘરમાં આવે છે. શરીર પરસેવાથી લથપથ હોય છે. આખા શરીરે જાણે જ્વાળા ન જાગી હોય. ઘરમાં રહેનારા સહાનુભૂતિથી સંપન્ન, સેવાભાવી હોય છે. એ એમને બેસવા માટે આસન આપે છે. તરત જ પંખો કરે છે, ઠંડું પાણી પાય છે. આવનારને નિરાંત લાગે છે, સ્વર્ગસુખ મળે છે.
તાપ જુદી જુદી જાતના હોય છે, અને તાપથી તપ્ત કે સંતપ્ત આત્માઓ આપણી આ અવનીમાં અનેક છે. હાલતાં ચાલતાં, ડગલેપગલે એમનું દર્શન થાય છે. એમને જોઈને સહાનુભૂતિથી સંપન્ન બનીએ, એમના તાપને મટાડવા માટે પંખો કરીએ તો ? પ્રેમનો પંખો, પવિત્રતાનો પંખો, માનવતાનો મીઠો પંખો, દયાનો, ક્ષમાનો, કરુણાનો, સેવાભાવનો, પ્રેમમય પંખો, તો એમને કેટલો બધો આરામ મળે ! કેટલી બધી રાહત રહે ! એમને અમૃતથી અદકું મીઠું, ઠડું મધુવચનનું, મધુર દ્રષ્ટિનું, આશ્વાસનયુક્ત શબ્દોનું પાણી પાઈએ તો ? એમને માટે એકાદ વૃક્ષ બનીએ ! લીમડો, વડલો, એની નીચેની મીઠી પીયૂષ, પાણી પાતી, આશ્રય આપતી, શાંતિ બનતી, તાપ અને તૃષાને ટાળતી, પરબ બનીએ તો ! બીજાને માટે કેટલા બધા આરામદાયક, આશીર્વાદરૂપ થઈએ ! કોઈને ઘડી બે ઘડી જીવન દઈએ, કોઈના જીવનમાં પ્રેરણા તથા પ્રકાશ ભરીએ. કોઈના થાક, વિષાદ, અભિશાપને હરીએ, કોઈના જીવનને હર્યુંભર્યું કરીએ. ચેતન ધરીએ.
બાકી તાપ તો રહેવાનો જ. તાપ હશે તો જ છાયા થશે, વાદળ બંધાશે, વૃષ્ટિ થશે. ધરતી અવનવી સશ્યશ્યામલા બનશે. ખેતરોમાં પાક બનશે. તાપથી ડરીએ કે ડગીએ નહીં. તાપમાં છાયા કરીએ. કોઈકની છાયા બનીએ. કોઈને વધારે સંતપ્ત તો ના જ કરીએ.
- શ્રી યોગેશ્વરજી
તાપ જુદી જુદી જાતના હોય છે, અને તાપથી તપ્ત કે સંતપ્ત આત્માઓ આપણી આ અવનીમાં અનેક છે. હાલતાં ચાલતાં, ડગલેપગલે એમનું દર્શન થાય છે. એમને જોઈને સહાનુભૂતિથી સંપન્ન બનીએ, એમના તાપને મટાડવા માટે પંખો કરીએ તો ? પ્રેમનો પંખો, પવિત્રતાનો પંખો, માનવતાનો મીઠો પંખો, દયાનો, ક્ષમાનો, કરુણાનો, સેવાભાવનો, પ્રેમમય પંખો, તો એમને કેટલો બધો આરામ મળે ! કેટલી બધી રાહત રહે ! એમને અમૃતથી અદકું મીઠું, ઠડું મધુવચનનું, મધુર દ્રષ્ટિનું, આશ્વાસનયુક્ત શબ્દોનું પાણી પાઈએ તો ? એમને માટે એકાદ વૃક્ષ બનીએ ! લીમડો, વડલો, એની નીચેની મીઠી પીયૂષ, પાણી પાતી, આશ્રય આપતી, શાંતિ બનતી, તાપ અને તૃષાને ટાળતી, પરબ બનીએ તો ! બીજાને માટે કેટલા બધા આરામદાયક, આશીર્વાદરૂપ થઈએ ! કોઈને ઘડી બે ઘડી જીવન દઈએ, કોઈના જીવનમાં પ્રેરણા તથા પ્રકાશ ભરીએ. કોઈના થાક, વિષાદ, અભિશાપને હરીએ, કોઈના જીવનને હર્યુંભર્યું કરીએ. ચેતન ધરીએ.
બાકી તાપ તો રહેવાનો જ. તાપ હશે તો જ છાયા થશે, વાદળ બંધાશે, વૃષ્ટિ થશે. ધરતી અવનવી સશ્યશ્યામલા બનશે. ખેતરોમાં પાક બનશે. તાપથી ડરીએ કે ડગીએ નહીં. તાપમાં છાયા કરીએ. કોઈકની છાયા બનીએ. કોઈને વધારે સંતપ્ત તો ના જ કરીએ.
- શ્રી યોગેશ્વરજી