પ્રશ્ન : સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મમાં હોય છે ત્યારે એમનાથી પાઠપૂજા, જપ, ધ્યાન, પ્રાર્થના અને સ્વાધ્યાય અથવા ધર્મગ્રંથોના વાચનની સાધના થઈ શકે કે ના થઈ શકે ? કેટલાક લોકો, વિદ્વાનો કે સંતપુરુષો એ બાબતમાં ખૂબ જ કડક હોય છે ને કહે છે કે એમનાથી કશું જ ના થઈ શકે. એમણે તો કાંઈ પણ કર્યા સિવાય એક ઠેકાણે બેસી જ રહેવું જોઈએ.
ઉત્તર : મને પોતાને એમની પેઠે કડક થવાનું ઠીક નથી લાગતું.
પ્રશ્ન : તો પછી તમે એ સંબંધમાં શું માનો છો ?
ઉત્તર : મારું માનવું છે કે માસિક ધર્મના દિવસોમાં પણ સ્ત્રીઓથી પાઠ, જપ, ધ્યાન, પ્રાર્થના અને સ્વાધ્યાય અથવા ધર્મગ્રંથોનું વાચનમનન થઈ શકે.
પ્રશ્ન : એવું કરવાથી કશું નુકસાન ના થાય ?
ઉત્તર : ના એમાં નુકસાન થાય એવું કશું છે જ નહિ એટલે નુકસાન થવાની આ શંકા નકામી છે. એથી નુકશાન થવાને બદલે બધી રીતે લાભ જ થાય છે.
પ્રશ્ન : બધી રીતે ?
ઉત્તર : હા. બધી જ રીતે. એને લીધે સમયનો સદુપયોગ થાય છે ને સમય સુધરે છે. જીવનની પ્રત્યેક પળ મૂલ્યવાન છે. એનો સદુપયોગ થવો જ જોઈએ. બનતી બધી જ પળો ને ધર્માચરણમાં લગાડી દેવી જોઈએ. જીવન અતિશય ચંચળ છે. તે પાણીના રેલાની પેઠે ઝડપથી વહી રહ્યું છે. તેનો કશો ભરોસો નથી. તે ક્યારે સમાપન થશે કે તેના પર ક્યારે પડદો પડી જશે, તે કોઈ જ નથી કહી શકે તેમ. તેના પર પડદો પડી જાય તે પહેલા જેટલું બને તેટલું સત્કર્મ કરી લેવું જોઈએ.
માસિક ધર્મના દિવસોને પણ વ્યર્થ શા માટે ખોવા ? તે દિવસો દરમિયાન કોઈ જાતના કુકર્મને ના કરવું જોઈએ. એવું કુકર્મ ના થાય તેનું જેટલું બને તેટલું ધ્યાન પણ રાખવું જોઈએ. પરંતુ સત્કર્મ કરવાથી કશો દોષ નથી લાગતો. સત્કર્મનો ત્યાગ તો કદાપિ ના કરવો જોઈએ.
પ્રશ્ન : તો પછી માસિક ધર્મના દિવસો દરમ્યાન મંદિરમાં જઈ શકાય કે વિધિપૂર્વક પૂજા કરી શકાય ?
ઉત્તર : મંદિરમાં જવાનું અને વિધિપૂર્વક પૂજા કરવાનું કામ એટલા દિવસો પૂરતું પરંપરાને માન આપીને બંધ રાખી શકાય, પરંતુ પ્રાર્થના, જપ, ધ્યાન, પાઠ ને સ્વાધ્યાય વિના સંકોચ કરી શકાય છે ને કરવાનો આગ્રહ રાખવો જોઈએ. માનસિક પૂજા કરવામાં કશી જ હરકત નથી ને ના હોવી જોઈએ. યોગની આસન તથા પ્રાણાયામ જેવી ક્રિયાઓથી વધારે પડતો શારીરિક પરિશ્રમ પડતો હોઈ, અને એ દિવસો વિશેષ કરીને શારીરિક આરામના હોઈને એવી ક્રિયાઓને ના કરવી જોઈએ.
પ્રશ્ન : કેટલાક લોકો કહે છે કે એ દિવસોમાં જપ કરવાથી ને ગીતા કે રામાયણ જેવા ગ્રંથો વાંચવાથી પાપ લાગે છે.
ઉત્તર : એમનું કથન બરાબર નથી. એથી પાપ લાગે છે એવું કોઈ પણ વિવેકી પુરુષ નહિ માની શકે. જે વિવેકને ગીરે મૂકીને વિચારે છે કે બોલે છે તેમની વાત જુદી છે. એવા પુરુષોથી ખોટી રીતે પ્રભાવિત થવાનું ઠીક નથી. ગીતા કે રામાયણ જેવાં ધર્મપુસ્તકોને વાંચવા વિચારવાથી પાપમાંથી મન પાછું વળે છે ને પાપ દૂર થાય છે, એવું કોઈ કહેતું હોય તો તે સહેલાઈથી સમજી શકાય તેવું છે. પરંતુ એથી પાપ લાગે છે એવું કથન બરાબર નથી લાગતું. માણસ શુભાશુભ દશામાં આળસુ બનીને બેસી રહે ને ગમે તેવા અમંગલ વિપરીત વિચારો કરે એના કરતાં તો ઈશ્વરસ્મરણ કરે ને ઉત્તમ પ્રકારનાં પુસ્તકો વાંચે તે વધારે સારું, આવકારદાયક અને લાભકારક છે. એને માટે તો એને બનતી બધી રીતે પ્રોત્સાહન આપવું જોઈએ.
પ્રશ્ન : તો પછી સમાજમાં આવા ઊલટા કે ભળતા વિચારો કે ખ્યાલો શા માટે પ્રચલિત છે ?
ઉત્તર : એનું એક કારણ સમાજમાં ચાલતી આવતી રૂઢી છે. બધા તે પ્રમાણે ચાલે છે ને ચાલવાનો આગ્રહ રાખે છે. બીજું કારણ સ્વતંત્ર કે તટસ્થ વિચારસરણીનો અભાવ છે. ત્રીજું કારણ સાચું સમજવા છતાં એનો અમલ કરવાની નૈતિક હિંમત નથી હોતી તે છે. પરંતુ જેમ જેમ વિવેકશક્તિ વધતી જશે અને નૈતિક હિંમત પણ વધશે તેમ તેમ સાચું હશે તે સમજાતું અને અમલમાં મૂકાતું જશે.