પ્રશ્ન : શાસ્ત્રોમાં મંત્રોના અનુષ્ઠાનો કરવાની સૂચના આપવામાં આવી છે. એ સૂચનાઓને અનુસરીને કેટલાક લોકો જુદી જુદી જાતનાં અનુષ્ઠાનો કરે છે. એવા અનુષ્ઠાનોથી આત્મોન્નતિ થઈ શકે છે ?
ઉત્તર : થઈ પણ શકે ને ના પણ થઈ શકે.
પ્રશ્ન : કેવી રીતે ?
ઉત્તર : જુદાં જુદાં અનુષ્ઠાનો મોટે ભાગે શાને માટે કરવામાં આવે છે તે જાણો છો ? એમનો આધાર લેનાર આત્મોન્નતિની આકાંક્ષાથી પ્રેરાઈને એમનો આધાર ભાગ્યે જ લેતા હોય છે. જો આત્મોન્નતિની કામનાથી પ્રેરાઈને એમનો આશ્રય લેવામાં આવે તો થોડા કે વધારે પ્રમાણમાં આત્મોન્નતિ જરૂર થાય. એમાં કશો સંદેહ નથી. અનુષ્ઠાનોનું પ્રમુખ પ્રયોજન એ જ હોવું જોઈએ. જીવનની વધારે ને વધારે શુધ્ધિ સાધીને, મન તેમજ ઈન્દ્રિયોનો કાબૂ કરીને, પરમાત્માનાં પ્રેમને પ્રબળ બનાવવાનું, ને છેવટે પરમાત્માનો સાક્ષાત્કાર કરીને પરમ શાંતિમાં પ્રતિષ્ઠિત થવાનું. પરંતુ એ પ્રયોજનને યાદ રાખીને એની પૂર્તિને માટે પ્રયત્નો કરનારા સાધકો ઘણા ઓછા હોય છે. મોટા ભાગનાં સાધકો તો જુદીજુદી આકાંક્ષાઓ રાખીને અનુષ્ઠાનો કરતા હોય છે.
પ્રશ્ન : જુદી જુદી આકાંક્ષાઓ રાખીને એટલે ?
ઉત્તર : લૌકિક આકાંક્ષાઓ, પરમાત્માના સાક્ષાત્કાર સિવાયની બીજી દુન્યવી આકાંક્ષાઓ રાખીને. કોઈ ધન, વૈભવ કે ઐશ્વર્ય મેળવવા માટે અનુષ્ઠાન કરે છે, કોઈ સત્તા કે પદ માટે, કોઈ રોગના નિવારણ માટે, કોઈ દીર્ઘ જીવન માટે, પુત્રની પ્રાપ્તિની કે ઈચ્છાનુસાર લગ્નની લાલસાથી, શત્રુને હરાવવા માટે, કોઈક પ્રકારની ખાસ સિધ્ધિ મેળવવા માટે, અને એવી એવી કેટલીય ઈચ્છાઓને પૂરી કરવા માટે એવાં અનુષ્ઠાનો કરતાં હોય છે. એમને આત્મોન્નતિની એટલી બધી ઈચ્છા જ નથી હોતી એટલે ગમે તેટલા અનુષ્ઠાન કરે તો પણ એમના પરિણામે આત્મોન્નતિ કેવી રીતે થાય ?
માણસે પોતાના લક્ષ્યને પોતાની મેળે જ ટૂંકું રાખ્યું હોય છે. એથી આગળનું કશું મેળવવાની એની ઈચ્છા જ નથી હોતી. અનુષ્ઠાન કરવાનો આરંભ કરતાં પહેલાં જ એ નક્કી કરી લે છે કે આ અનુષ્ઠાનની મદદથી મારે આ વસ્તુ મેળવવી છે. એને માટેનો સંકલ્પ પણ એ કરી લે છે. એમાં આત્માની ઉન્નતિનો કે આત્માના સાક્ષાત્કારનો સંકલ્પ જ કયાં હોય છે ?
પ્રશ્ન : તો શું અનુષ્ઠાનો આત્મસાક્ષાત્કાર કરાવી શકે ?
ઉત્તર : એ એમાં મદદરૂપ જરૂર બની શકે.
પ્રશ્ન : કેવી રીતે ?
ઉત્તર : આત્માના સાક્ષાત્કારની ભાવનાને પ્રકટાવીને અને પ્રબળ બનાવીને. કેવળ આત્મોન્નતિને માટે કરવામાં આવતાં અનુષ્ઠાનનો જીવનની શુધ્ધિ સાધીને તથા સાત્વિકતાને ધારીને આત્માભિમુખ થવામાં મદદ કરે છે.
પ્રશ્ન : બીજા લૌકિક આશયવાળા અનુષ્ઠાનોથી એ આશયો પૂરા થાય છે કે નથી થતાં ?
ઉત્તર : પ્રત્યેક વખતે પૂરા થાય છે જ એવું નથી હોતું.
પ્રશ્ન : કેમ ?
ઉત્તર : એના કારણો કેટલાંય છે. અનુષ્ઠાનની વિધિમાં દોષ, બીજી કોઈ નિયમપાલનની ત્રુટી, પ્રારબ્ધકર્મની પ્રતિકૂળતા, એવાં જુદાં જુદાં કારણો કહી શકાય. પરંતુ ધારો કે એ કારણો દૂર થાય ને અનુષ્ઠાન સફળ થાય તો પણ શું ? જીવનનો આદર્શ બીજી સામાન્ય કે અસામાન્ય ઈચ્છાપૂર્તિઓ કરતાં ઘણો મોટો છે એ યાદ રાખીને એવી ઈચ્છાપૂર્તિની લાલસાને વધારવા કરતાં આત્માની ઉન્નતિની અભિલાષાને વધારવાનું જ ધ્યાન રાખવું જોઈએ. જીવનનું કલ્યાણ એમાં જ છે.