પ્રશ્ન : ચિત્તની એકાગ્રતા વગર નામજપ કે ધ્યાનની સાધના કરી શકાય ખરી ?
ઉત્તર : ચિત્તની એકાગ્રતા જો શરૂઆતથી જ સહજ બનશે તો તો પછી નામજપ કે ધ્યાનની જરૂર જ શી રહેશે ? એકાગ્રતાને માટે તો એમનો આધાર લેવાનો છે. માટે ચિત્તની એકાગ્રતા એટલી જલદી સિદ્ધ ના થઈ શકે તો નિરાશાથી પ્રેરાઈને પુરુષાર્થ મૂકી પણ ના દેતા. અભ્યાસ ચાલુ જ રાખજો. જે સર્વસંગપરિત્યાગ કરીને એકાંતમાં બેઠા છે એવા વિરક્ત પુરુષોનું મન પણ એટલું જલદી એકાગ્ર નથી થતું તો પછી વિવિધ વ્યવસાયોમાં વ્યસ્ત રહેનાર અને એમની સારીમાઠી અસર નીચે અવારનાર સ્ત્રીપુરુષોનાં મન તો એટલી જલદી એકાગ્ર કેવી રીતે થઈ શકે ? એમને તો લાંબી વાર લાગે જ. છતાં પણ ઈલાજ પ્રયત્નને મૂકી દેવામાં નથી પરંતુ પ્રયત્નને ચાલુ રાખવામાં રહેલો છે.
મન ચંચળ છે, તોફાની છે. બળવાન છે, ને વાયુને વશ કરવા કરતાં પણ વશ કરવું કઠિન છે. એ પણ એટલું જ સાચું છે, છતાં પણ ક્રમેક્રમે કળથી વશ કરી શકાય છે એ પણ એટલું જ સાચું છે. માટે કોઈ પણ સંજોગોમાં હતોત્સાહ અને હતાશ નથી થવા જેવું. ઈશ્વર પર વિશ્વાસ રાખી, ઈશ્વરની દયાની યાચના કરવા આગળ વધતા જ રહેવાનું છે. ગારુડી જેમ સુમધુર સ્વરોની મદદથી વિકરાળ વિષધરને વશ કરે છે તેમ ઈશ્વરના નિરંતર નામસ્મરણના પ્રભાવથી જે મનને વશ કરવા માગે છે અને એને માટે અનવરત અભ્યાસ કરે છે એનો મનોરથ જરૂર ફળે છે. એને સફળતા અવશ્ય વરે છે.
પ્રશ્ન : એકાગ્રતા વગરના જપ કે ધ્યાનથી લાભ થાય કે ના થાય ?
ઉત્તર : એકાગ્રતા વગરના જપ કે ધ્યાનથી પણ લાભ તો થાય જ છે. એકાગ્રતા હોય તો વધારે લાભ થાય છે એ સાચું છે પરંતુ એકાગ્રતા વગર પણ જે જપ કે ધ્યાન કરવામાં આવે છે તે નિષ્ફળ જાય છે એવું તો ના જ કહી શકાય. એ પણ લાભ તો પહોંચાડે જ છે. માટે એકાગ્રતા થાય કે ના થાય તો પણ સાધકે ધ્યાનની સાધના કરવાનું ચાલુ જ રાખવું.