પ્રશ્ન : સંધ્યાપૂજાની જરૂર છે કે નહિ ? દેવદર્શન, ઉપાસના પ્રત્યે આજે ઘણા લોકો તિરસ્કારથી જુએ છે. તો તે વિશે આપનો શો મત છે ? કર્મ કરવાની જરૂર ખરી ?
ઉત્તર: સંધ્યાપૂજા-ઉપાસના જેવા કર્મ દરેકે કરવા જોઈએ. તેનાથી મનની ચચંલતા મટે છે ને હૃદયશુધ્ધિ થાય છે. સર્વ પ્રકારના કર્મ તેમજ સંધ્યોપાસના જેવા નિત્યકર્મ કેવળ એક જ માણસ ના કરે તો ચાલે, ને તે બ્રહ્માનંદમાં સતત રહેનારો બ્રહ્મનિષ્ઠ જ્ઞાની. આવો પુરુષ હરેક સમયે આત્માનંદમાં મગ્ન રહે છે, સ્થાવર જંગમમાં બધે જ પોતાના સ્વરૂપને નિહાળે છે, પરમાત્માને જુએ છે ને તેને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની સ્પૃહા કે ઈચ્છા નથી. આવા પુરુષે કર્મ કરીને કાંઈ જ પ્રાપ્ત કરવાનું નથી ને ના કરીને કાંઈ ગુમાવવાનું પણ નથી.
કર્મના બે ઉદ્દેશ છે - એક તો પ્રાથમિક ઉદ્દેશ ને બીજો આત્યંતિક ઉદ્દેશ. કર્મનો પ્રાથમિક ઉદ્દેશ ચિત્તશુદ્ધિનો છે ને છેવટેનો ઉદ્દેશ આત્મદર્શન કે ઈશ્વરપ્રાપ્તિનો છે. આ બંને ઉદ્દેશ પૂર્ણ જ્ઞાનીએ કર્મ કરી પૂરા પાડ્યા હોય છે એટલે તેને કર્મની જરૂર નથી. આવો જ્ઞાની પુરુષ લોકહિતાર્થે પોતાની શક્તિઓનો ઉપયોગ કરે, એ ખૂબ સારું છે. ને તેવા કર્મ ઘણી વાર જ્ઞાની કરે છે. પણ તે કર્મ અહંતા ને મમતાના બંધનથી તેને બાંધતા નથી, એ ધ્યાનમાં રાખવાનું છે. ગીતા કહે છે કે –
यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः ।
आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते ॥३-१७॥
કારણ કે -
नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन ।
न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः ॥३-१८॥
છતાં પણ આવો જ્ઞાની પુરુષ લોકસંગ્રહ માટે કામ કરી શકે તો સારું એમ બતાવવા પ્રભુ પોતાનું દ્રષ્ટાંત મૂકી કહે છે કે મારી કોઈ જ ઈચ્છા નથી. હું બધી રીતે પૂર્ણ છું, છતાં લોકહિતાર્થે કર્મ કરું છું. કેમ કે તેમ ના કરું તો લોકો પણ આળસુ બની જાય છે.
માટે કર્મ તો કરવા જોઈએ. તે કર્મ આત્મહિત માટે હોવા જોઈએ. સંસારી માણસો જેમ સંસારના કામકાજ ને વ્યવહારમાં રાત દિવસ પડે છે, તેમ આદુ ખાઈને ઈશ્વરપ્રાપ્તિને માટે, આત્માનંદને માટે મથવુ જોઈએ. એ ઈશ્વરપ્રાપ્તિ થઈ જાય પછી પણ કરુણાથી પ્રેરાઈ, પોતાની શક્તિ પ્રમાણે નિઃસ્વાર્થભાવે સંસારના હિત માટે કર્મ કરવા જોઈએ. જે લોઢામાંથી સોનાનો ટુકડો થઈ ગયો છે તેને પછી કર્મનો કાટ ચઢવાનો ભય નથી. તેના પ્રભાવથી , ઊલટુ કૈંકના કાટ દૂર થઈ જશે ને કેટલાઈના મેલ ધોવાઈ જશે.
ફરીવાર ગીતાનો અભિપ્રાય જાણવો હોય તો અઢારમો અધ્યાય જુઓ, તેમાં સ્પષ્ટ કહ્યું છે કે –
यज्ञदानतपःकर्म न त्याज्यं कार्यमेव तत् ।
यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ॥१८-५॥
ભાવાર્થ : યજ્ઞ દાન ને તપરૂપી કર્મ સૌએ કરવાં જ જોઈએ. કેમ કે તે માનવને વધારે પવિત્ર ને ઉજ્જવલ કરનારા છે.
આમાં સંધ્યોપાસનાદિ કર્મ તપમાં સમાય જાય છે, ને લોકહિતાર્થ કરાતા બીજા કામ યજ્ઞ ને દાનમાં ગણાય છે.