પ્રશ્ન : સિધ્ધ કોટિના પુરુષમાંથી કેટલાક આજે મિથ્યાના તત્વજ્ઞાનના રોગથી પીડાય છે. તે બધું મિથ્યા ને દુ:ખમય જ માને છે, એટલે કોઈ સક્રિય હિતમાર્ગનું આચરણ કરતા નથી. તેઓ દેશ તેમજ દુનિયાના પ્રશ્નોમાં રસ લઈ માર્ગદર્શન આપી શકતા નથી. આથી ઊલટું, જેમને સેવાની ઈચ્છા છે, ને જે સેવા કરે છે, તે આધ્યાત્મિક રીતે સંસિધ્ધિને પામેલ નથી. એટલે તેમની સેવા વ્યાપક, નક્કર ને સર્વતોમુખી થતી નથી. એટલે આ બંનેનો સહયોગ થવો જોઈએ. તો જગતને મહાન વ્યક્તિત્વ મળી શકે. આધ્યાત્મિક સિધ્ધિ પ્રાપ્ત પુરુષ લોકહિતમાં પડે તો મહાન કામ થાય એવું નથી લાગતું ?
ઉત્તર : લાગે છે.
પ્રશ્ન : વેદાંતમાં જે મિથ્યા શબ્દ છે - જેમ કે ‘જગન્મિથ્યા’ - તેનો અર્થ શો છે ?
ઉત્તર : આજના કેટલાક વેદાંતીઓ તેનો અર્થ ‘છે નહીં’ અથવા નથી જેવો લઈ બેઠા છે. જો તેમજ હોય તો શંકરાચાર્ય ચોખ્ખી રીતે ના કહે કે બ્રહ્મ સત્ય છે, ને જગત અસત્ય છે ? જગત મિથ્યા છે એવો બીજો જ શબ્દ તે શા માટે વાપરે ? એટલે મિથ્યાનો અર્થ ‘તદ્દન નથી’ એવો નથી, પરંતુ હંમેશને માટે જે નથી એવો લેવાનો છે. જગત આજે છે ને હજી રહેશે, પણ તેના પદાર્થો અનંત કાલ લગી આ સ્વરૂપે રહેવાના નથી. માટે વ્યવહારિક રીતે આજે જગત છે, સત્ય છે, પણ હંમેશને માટે અથવા તાત્વિકરૂપે સત્ય નથી. કેમ કે તત્વરૂપે તો જગતમાં બધે વસ્તુના રૂપે એક આત્મા કે ઈશ્વર જ રહેલો છે. માટે જ વેદાંતે જગતને અસત્ય કહેવાને બદલે મિથ્યા કહ્યું છે. આ અર્થ આજે ભૂલાયો છે, ને તેને લીધે માણસ કર્મથી વિમુખ થઈ ‘બધું ખોટું છે, ખોટું છે’ એવું ખોટું સમજી બેઠો છે. આ જ સમજ સુધારવી જોઈએ.
પ્રશ્ન : તો પછી મિથ્યાનો અર્થ શો ? બ્રહ્મ સત્ય જગન્મિથ્યા કહ્યું છે, તેનો અર્થ શો ?
ઉત્તર : મિથ્યાનો અર્થ જુદો જ છે. મિથ્યાનો અર્થ ‘છે જ નહીં.’ એવો નથી. જગત છે તો ખરું, પણ સનાતન નથી. તેના પદાર્થો ક્ષણભંગુર છે, એટલે તે સત્ય નથી ને અસત્ય પણ નથી. માટે જ એ બંનેનો વચલો પ્રયોગ મિથ્યા છે.
મિથ્યાનો બીજો અર્થ એ છે કે જગતમાં ઈશ્વર જ રહેલો છે. જુદાં જુદાં નામરૂપને લીધે જ જગતના પદાર્થોમાં ભેદભાવ ઉત્પન્ન થાય છે. તે ભેદ કેવળ વ્યાવહારિક છે, તાત્વિક નથી. માટે જગતને જગત કહેવું મિથ્યા એટલે કે અજ્ઞાન છે ને બ્રહ્મમય કહેવું સત્ય છે.
ત્રીજો અર્થ પણ છે. સમાધિમાં પરમ જ્ઞાન થતાં માણસને સર્વત્ર- પોતાની અંદર ને બહાર બ્રહ્માનુભવ થાય છે, એક ઈશ્વરનું જ દર્શન થાય છે; તે દશામાં જગત મિથ્યા કે વૃથા બને છે : એટલે એ અર્થમાં જગન્મિથ્યા એ શંકરાચાર્ય જેવા સમર્થ જ્ઞાની ને યોગીની અનુભવની વાણી છે.
સાધારણ માણસોએ જગતને મિથ્યા- નાશવંત સમજી તેના પદાર્થોમાં લપટાવાનું નથી ને તેમાં રહી પરમ સત્યમય સનાતન ઈશ્વરની પ્રાપ્તિ કરી લેવાની છે.