પ્રશ્ન: જપ કરતી વખતે મન દોડાદોડ કરે છે, તો તેને એકાગ્ર કરવા માટે શું કરવું જોઈએ ?
ઉત્તર: મનની સાચી એકાગ્રતા તો ત્યારે જ થઈ શકે કે જ્યારે મન સાત્વિક થાય, અથવા તો દૈવી સંપત્તિથી સંપન્ન બની જાય, અથવા તો જ્યારે ઈશ્વરના પ્રેમથી ઉભરાઈ જાય-એવી યોગ્યતાની કમી હોવાથી જ, મન સ્થિર, એકાગ્ર અથવા તો શાંત થઈ શકતું નથી. એટલે એકાગ્રતાની ફરિયાદ દૂર કરવા માટે, એ યોગ્યતાને પેદા કરવાની તથા વધારવાની જરૂર છે.
પ્રશ્ન: એ વાત તો બરાબર છે. પરંતુ જપ કરતી વખતે મનને વશ કરવામાં મદદ મળે તેવાં બીજાં કોઈ સાધનો છે ખરાં ? એવી કોઈ પદ્ધતિ કે ક્રિયા જે એકાગ્રતાને માટે ઊપયોગી થઈ શકે, તેની સૂચના મળી શકશે ?
ઉત્તર: જપ કરતી વખતે મનને વશ કરવામાં મદદ મળે તેવી પદ્ધતિ કે પ્રક્રિયા પૂછતા હો, તો તે આ રહી:
પહેલી પદ્ધતિ શ્વાસ સાથે જપ કરવાની છે. આસન પર બેસીને જપ કરતી વખતે શ્વાસની ગતિનું ધ્યાન રાખો, અને એની સાથે જપ કરો. શ્વાસને ધીરે ધીરે અંદર લો તથા તે વખતે એક મંત્ર બોલો, ને શ્વાસને બહાર કાઢતી વખતે બીજો મંત્ર બોલો, તે રીતે કોઈ પણ પ્રકારની ઉતાવળ વિના, ધીમે ધીમે શ્વાસોશ્વાસની ક્રિયા સાથે મંત્રના જપ કરવાનું ચાલુ રાખો. મંત્ર નાનો હોય તો તો હરકત જ નથી, પરંતુ જો મોટો હોય તો તેના વિભાગ કરીને તેના જપ કરો. એમ કરવાથી ઘણી સરળતા થશે.
બીજી પદ્ધતિ વાચિક જપ કરવાની છે. જપ કરતી વખતે તદ્દન મૂંગા રહેવાને બદલે, બહુ જોરથી નહિ, પણ તમે જ સાંભળી શકો એ રીતે, બોલીને જપ કરો. બોલીને થતાં જપ એટલા બધા વેગથી ના થવા જોઈએ, કે અસ્પષ્ટ અથવા અશુદ્ધ બની જાય. જે બોલીએ તે સમજપૂર્વક અને શુદ્ધ રીતે બોલવું જોઈએ. વાચિક જપની એ પદ્ધતિથી પણ મનને એકાગ્ર થવામાં મોટી મદદ મળે છે.
ત્રીજી પદ્ધતિ જપ સાથે ધ્યાન કરવાની છે. જેના જપ કરો તેના રૂપનું ધ્યાન પણ કરતા રહો. એમ કરવાથી અર્ધુ મન જપમાં અને અર્ધુ મન ધ્યાનમાં રોકાઈ રહેશે અને એકાગ્રતા સહેલી બનશે.
ચોથી પદ્ધતિ નિરંતર જપ કરવાની છે. જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે, અથવા અવકાશ કાઢીને પણ, મંત્રના જપ કરવાની ટેવ પાડો. એમ કરવાથી મનનો એક પ્રવાહ હંમેશા જપમાં રસ લેતો થઈ જશે. ને મનમાં એક જાતનું સંસ્કારોનું પડળ બંધાશે, જે મનને અંતર્મુખ કરવામાં મદદ કરશે.
પ્રશ્ન: જપ કરતી વખતે સંખ્યાનું ધ્યાન રાખવાની જરૂર ખરી ?
ઉત્તર: હું એવું નથી માનતો. જપ કરતી વખતે જે સંખ્યાનું ધ્યાન રાખવાનું વિધાન છે, તે તો જપ નિયમિત, ચોક્કસ અને એકસરખા થાય તે માટે છે. એવું વિધાન ન હોય તો કોઈ આજે હજાર જપ કરે, કાલે સો સો કરે, અને પરમ દિવસે પ્રમાદી બનીને બિલકુલ ના કરે. એવી રીતે જપની પાછળ કોઈ નિશ્ચિત ધોરણ ન રહે. આ હેતુને ધ્યાનમાં રાખો તો સમજાશે કે સંખ્યાને બદલે સમયનું ધ્યાન રાખીએ તો પણ ચાલી શકે છે. એટલે રોજ આટલા હજાર જપ કરવા છે એવું નક્કી કરવાને બદલે રોજ આટલા કલાક જપ કરવા છે એવું યે નક્કી કરી શકાય. લાભ એ થશે કે સંખ્યા પૂરી કરવા માટે આજે જે ઉતાવળથી કે જેમતેમ જપ કરવામાં એવે છે, તેને બદલે શાંતિપૂર્વક ને ધીરેથી જપ થશે. કેમ કે એમાં સંખ્યાનો હિસાબ કોઈને ય નહિ આપવાનો હોય, ફક્ત એકાગ્રતા જ જાળવવાની રહેશે.
પ્રશ્ન : જપ કરતી વખતે માળા રાખવી કે નહિ ?
ઉત્તર : શરૂઆતના તબક્કામાં માળા રાખશો તો ઠીક થઈ પડશે. અથવા તો મદદરૂપ થશે, માળા ચંચળ મનને વશ કરવામાં ફાળો આપશે. એ ઉપરાંત, નિયમિત રીતે અમુક ચોક્કસ સંખ્યાના જપ કરવાનો નિયમ પણ એથી જળવાઈ રહેશે. એ સંખ્યા પૂરી નહિ થાય ત્યાં સુધી તમે જપ કરશો જ. એવી રીતે તમારા પર એક પ્રકારનું નિયંત્રણ રહેશે. પછી આગળ વધ્યા પછી માળાની આવશ્યકતા નહિ રહે. માળા રાખશો તોય ઠીક ને નહિ રાખો તો ય ઠીક. એકાગ્રતાની સિદ્ધિ થયા પછી એ હકીકત બહુ મહત્વનો ભાગ નહિ ભજવે. માળા સાધ્ય નથી, પરંતુ મનને વશ કરવાનું ને સંખ્યા ગણતરીનું તથા નિયમબદ્ધતાનું સાધન છે એટલું યાદ રાખો તો આ પ્રશ્ન નહિ રહે.
પ્રશ્ન : જપ કરતાં કરતાં મન એકાગ્ર ના રહેતું હોય તો પણ જપ કરવા ?
ઉત્તર : મનને એકાગ્ર કે સ્થિર કરવા માટે તો જપ કરવામાં આવે છે. જો પહેલેથી જ મન એકાગ્ર થઈ જાય તો તો પછી બાકી શું રહ્યું ? મનને વશ કરવું એ કાંઈ રમત નથી. તેને માટે સતત ને નિયમિત ધીરજ, ખંત તથા ઉત્સાહપૂર્વકનો પુરુષાર્થ જોઈશે. જપ એને માટેનું એક સચોટ ને સરળ સાધન છે. માટે મન સ્થિર રહેતું ના હોય તો પણ તેને છોડી દેવાની જરૂર નથી. સર્વ પ્રકારની નિરાશાને ખંખેરી કાઢીને, પ્રમાદને વશ થયા વિના જપ કરતા જ રહો. જે સત્કર્મ થઈ ગયું છે તેનું ફળ વહેલું મોડું મળશે જ. તે મિથ્યા નહિ થાય એ વાતમાં વિશ્વાસ રાખો. જપ કરતી વખતે જો મન બહારના વિષયોમાં દોડાદોડ કરતું હોય, તો આંખ બંધ કરવાને બદલે ઉઘાડી આંખે જપ કરવાની ટેવ પાડો, સામે ઈષ્ટદેવની મૂર્તિ કે છબી રાખો. એથી સ્થિરતાને સાધવામાં મદદ મળશે. કોઈ પણ સંજોગોમાં નાહિંમત તો ના જ બનો.