પ્રશ્ન: તમને એમ નથી લાગતું કે ભગવદ્દગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે બે વિરોધાભાસી વાતો કહી છે ? એક ઠેકાણે તો તે કહે છે કે મમતા, અહંતા, રાગદ્વેષ, અથવા તો આસક્તિનો ત્યાગ કરીને કર્મો કરવામાં કલ્યાણ રહેલું છે, અને બીજે ઠેકાણે, ગીતાની સમાપ્તિ થવાની હોય છે ત્યારે, અઢારમા અધ્યાયમાં, એનાથી ઉલટી જ વાતનો ઉપદેશ આપે છે કે બધા ધર્મોનો ત્યાગ કરીને મારું જ શરણ લઈ લે. એ બંને વાતોનો મેળ નથી બેસતો એવું તમને નથી લાગતું ? ગીતામાં આવા વિરોધાભાસી ઉપદેશ ઘણા છે. પરંતુ આ તો મેં તમને એક દ્રષ્ટાંત આપ્યું. આ શંકા મને કેટલાય વખતથી સતાવી રહી છે. તો તેનું સમાધાન કરશો એવી આશા રાખું છું.
ઉત્તર: તમારી શંકા સાવ નિરાધાર નથી જ. તેને હું સહાનુભુતિપૂર્વક સમજી શકું છું. બીજા કોઈને પણ આવી શંકા થતી હશે. છતાં પણ જો શાંતિથી વિચાર કરો તો તમારી શંકા સહેલાઈથી દૂર થઈ શકે તેમ છે. તમે કહો છો કે માનો છો તે પ્રમાણે, ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે બે પરસ્પર વિરોધી વાતો નથી કહી. ઉપર ઉપરથી જોનારને તે વાતો જરૂર વિરોધી જેવી લાગે. પરંતુ ઊંડાણમાં પ્રવેશ કરીને સમજવાથી તે બંને વાતો યોગ્ય તથા પૂરક જેવી જણાશે અને એમના સંબંધી કોઈ શંકાનું સ્થાન નહિ રહે.
પ્રશ્ન: તો તે કેવી રીતે ?
ઉત્તર: જુઓ. હું સમજાવું. ગીતામાં મમતા, અહંતા, રાગદ્વેષ, અથવા તો આસક્તિનો ત્યાગ કરીને કર્મો કરવાનું કહ્યું છે એ સાચું છે. જો કે એ ઉપદેશ અર્જુનને નિમિત્ત બનાવીને કે લક્ષ્ય કરીને આપવામાં આવ્યો છે, છતાં પણ કેવળ અર્જુનના પૂરતો જ મર્યાદિત નથી. મનુષ્ય સમાજના બધા જ સભ્યોને એ એકસરખો લાગુ પડે છે. એ ઉપદેશમાં કર્મ કરવાની શંકા વિશે કહેવામાં આવ્યું છે, અથવા તો એ કળાનું રહસ્યોદઘાટન કરવામાં આવ્યું છે. એ રહસ્ય પ્રમાણે જો ચાલવામાં આવે તો, સંસારમાં રહીને પોતાને ફાળે આવેલું કર્મ કરતાં કરતાં શાંતિ મેળવી શકાય, ને જીવનનું શ્રેય સાધી શકાય, અથવા તો જીવનનું સાર્થક્ય કરી શકાય, એવો ગીતાનો સંદેશ છે.
પ્રશ્ન: એ સંદેશ તો મારા સમજવામાં આવે છે, અને એની સાથે હું સહમત પણ થાઉં છું. પરંતુ મુખ્ય સમસ્યા તો બીજી જ છે. ભગવાન શ્રીકૃષ્ણ એટલો ઉપદેશ આપીને બેસી રહ્યા હોત તો તો સારું હતું. તેમાં કશી જ હરકત નહોતી. પરંતુ તે તો વધુમાં સર્વ કાંઈનો ત્યાગ કરીને પોતાનું જ શરણ લેવાનું કહે છે તો પછી સંસારના કર્મો કેવી રીતે કરી શકાશે ?
ઉત્તર: સંસારના કર્મો તો કરવાનાં જ છે. તે કરવાની ના નથી. જો ભગવાન શ્રીકૃષ્ણ કર્મના વિરોધી હોત, તો અર્જુનને યુદ્ધકર્મ કરવાની દીક્ષા ન આપત. અર્જુન તો પોતાના કર્મ કે પોતાની ફરજનો ત્યાગ કરીને બેઠો હતો. છતાં શ્રીકૃષ્ણે તેને કર્મમાં પ્રેર્યો. એ શું બતાવે છે ? એ જ કે તે કર્મના અનુષ્ઠાનમાં માનતા હતા. તે કર્મના ત્યાગનો ઉપદેશ આપે જ કેવી રીતે ? એવો આદેશ એ નથી આપતા. એ તો કહે છે કે સર્વ પ્રકારના મનના ગુણધર્મ જેવા સંકલ્પ વિકલ્પ તથા સર્વ પ્રકારની ચિંતાનો ત્યાગ કરીને, તું મારામાં વિશ્વાસ રાખ, અને સાચા દિલથી મારું શરણ લે, તો હું તારી પડખે રહીશ, તને બધી રીતે મદદરૂપ થઈશ, તથા તારી રક્ષા કરીને તારું પરિત્રાણ કરીશ. એટલે માણસે મનથી પરમાત્માનું શરણ લેવાનું છે, ને પરમાત્માને પોતાના જીવનના સર્વ સત્તાધીશ કે સૂત્રધાર બનાવી, એના હાથમાં હથિયારરૂપ થઈને કર્મ કરવાનું છે. એટલે એ શબ્દોમાં કર્મ કરવાની એક બીજી વધારાની કળા વિશે કહેવામાં આવ્યું છે. આવી રીતે સમજો તો ભગવાન શ્રીકૃષ્ણના કે ગીતાના શબ્દોમાં વિરોધાભાસ નહિ લાગે. એ સંબંધી શંકા પણ નહિ જાગે. પરંતુ એમણે આપેલા બંને આદેશો એકમેકના પૂરક છે એની ખાતરી થશે.