કેવા કદંબ દ્રુમની શુચિ શાખ નીચે
ઊભા ત્રિભંગ કરતાં અધરે અડાડી
બંસી સુમિષ્ટ સ્વર સ્નેહ છલ્યા વહાવી-
ને જાદુ પ્રકૃતિતણાં ઉરમાં ભરીને
શ્રી કૃષ્ણચંદ્ર મધુરા યમુનાતટે આ
આનંદઅર્ણવસમાં પરિપૂર્ણતાના
પૂરા પ્રતિક સરખા રસમૂર્તિ જેવા
સૌંદર્યની સુખસજેલ પ્રતિચ્છબીશા.
એવી જ જીવનતણી રસમિષ્ટ બંસી
ધારી નિરંતર રહું સ્વરને વહાવી
આ જીવને, પણ બનું નવ સક્ત ક્યાંયે;
એકાદ હો ચરણ આ પૃથિવીપરે છો
હો અન્ય કિન્તુ મધુમંગલ ઊર્ધ્વલોકે
તો વ્યગ્રતા નવ કશી નવ ભીતિ ચિંતા.
- શ્રી યોગેશ્વરજી