કોઈનો લાડકવાયો
વીસ વરસનો કોમળ લાડકવાયો
હોસ્પિટલમાં માતાને મળવા જઈ રહેલો ત્યાં જ
પોલીસની ગોળીનો શિકાર બન્યો,
અમદાવાદ શહેરનો કોઈ લાડકવાયો.
આજે એ શા માટે નીકળ્યો,
અને આજે જ શા માટે નીકળ્યો ?
માતા એની રાહ જુએ છે
હમણાં એ ભોજન લઈને આવી પહોંચશે,
એટલા માટે જ એ નીકળેલો.
એને શી ખબર કે ભોજનની થાળી રસ્તામાં જ રહી જશે,
અને એ પોતે પણ પોલીસની ગોળીનો ભોગ બનશે ?
હોસ્પિટલમાં માતા એની પ્રતિક્ષા કરતી’તી.
કોઈએ એને ગોળીબારના સમાચાર આપ્યા.
એ બોલી ઊઠી : આઝાદી પહેલાં આટલા બધા
ગોળીબાર નહોતા થતા,
આઝાદી પછી તો વાતવાતમાં......
એ વધારે ના બોલી શકી.
એને ખબર ન હતી, એનો લાડકવાયો આજે
નહોતો આવવાનો.
- શ્રી યોગેશ્વરજી