સત્યને સંકટો નથી હરાવી શકતાં,
નથી ડરાવી કે ગભરાવી શકતાં;
ગોળીઓ ઘાયલ નથી કરતી,
વીંધી તો શું સ્પર્શીયે નથી શકતી;
ધાકધમકી પીડા પ્રતિકૂળતા
યાતના આલોચના વાસના
હતપ્રભ નથી બનાવી શકતી.
સૂર્યની આસપાસ છવાતાં અભ્રમંડળ,
એના તરફ ફૂંકાતા પ્રલયંકર પવન,
ચમકતી ચપલા અને ઊડતી રજકણ;
અનેકો દ્વારા જાણ્યે-અજાણ્યે કરાતી એમની અવજ્ઞા,
અને એ સઘળાની વચ્ચેથી પણ ફૂંટતાં એનાં
કાંતિમય કિરણને નિહાળીને
મને એની પ્રતીતિ થાય છે.
- શ્રી યોગેશ્વરજી