કહ્યું રામ અને કૃષ્ણે જન્મીને જગમાં અમે
ગુલાબોની કરી આશા કિન્તુ કંટક સાંપડ્યા,
છાયા સ્વલ્પ હતી, તાપો વધારે તાપવા મળ્યા,
હજુ રાવણ ને કંસો શિશુપાલો નથી ટળ્યા.
બુદ્ધ બોલ્યા : સદાચારે સૌને સ્નાન કરાવવા,
મહાપ્રસ્થાન મેં કીધું નવા પાઠ ભણાવવા,
સમસ્ત વસુધાને ને તપસ્યા આકરી કરી,
છતાં સત્ય કહેવા દો વિજયશ્રી નથી વરી.
માનવી પંકમાં પેદા થનારા પદ્મના સમો
પંકમુક્ત નથી કો દી થયો તેમ થશે નહી;
લાધ્યું સત્ય જ એ અંતે જીવનાનુભવે મને,
આકાંક્ષા ના ઉરે મારા પુનર્જન્મ તણી રહી.
ઈશુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું : માનવી મહીં
પ્રકાશ મેં પિતા કેરો પેખ્યો ને પેખવા ધર્યો
સંદેશ અજ્ઞ આત્માને, કિન્તુ મારાં જ ભાંડુએ
અવમાન કર્યું મારું, વધસ્તંભ પરે મને
લટકાવી વળી દીધો; અને આજેય મંત્ર સૌ
મારા ભૂલી ગયા લોકો, વેદના એ મને થતી,
સ્મૃતિઓ મનથી મારા ઘડી ના અળગી જતી,
અવતાર તણી ઈચ્છા મારા મન થકી મટી.
સુકરાત વદ્યા, પ્યાલો વિષનો મુજને ધર્યો,
કૃતઘ્ની દુનિયા એવી, મોહ મારો બધો મર્યો.
અષો નાનક ને સુર તુલસી શકંરે કહ્યું :
અમને કરુણા થાયે પૃથ્વીની પ્રાર્થના સુણી,
પરંતુ કરવા થોડી થાય વિશ્રાંતિ ચાહના,
પોકાર છે પુરાણા સૌ સૃષ્ટિના શોકઆહના.
કાઢ્યા ઉદગાર કૈં એવા અનેકે દિવ્યલોકમાં,
અભિવૃદ્ધિ થઈ એથી દેવીના ગાઢ શોકમાં.
*
પયગંબર ધર્માત્મા હજારો વિશ્વમાં ગયા,
છતાં માનવ એનો એ, ફેરા ફોગટ શા થયા.
એવા જગતમાં જનમ્યે લાભ શો સાંપડે કહો,
ગુલાબી પંથ છાંડીને કંટકોને કદી ચહો ?
સુખશાંતિ ભરેલા આ તજીને દિવ્ય લોકને
વસુધામાં વધાવે કો વ્યર્થ સંતાપશોકને ?