ને કર્મયોગ પર વ્યક્ત કરી વિચારો
ગાંધી વદ્યા : સરિતને નીરખી કદા કો
પૂછે સવાલ ક્યમ કે સરિતા વહે છે ?
તો આપશે તરત ઉત્તર એ અનેરો
ના જો વહી રહું કરું મુજને કહો શું ?
આ કર્મથી જ સરિતા જગમાં કહાવું.
સીમિત શાંત સર તેમ તડાગ ના હું,
સ્વૈચ્છિક આ વહન ધર્મ સ્વભાવ મારો.
પૂછે કદી કુસુમને ક્યમ ગંધ રેલે
ને સૂર્યને કિરણ કેમ વહાવતો આ ?
તો એ કહે કિરણ મૂળ સ્વભાવ મારો,
સંયુક્ત સૌરભ થકી મુજ પ્રાણ ન્યારો.
નિષ્કામ કર્મ કરવા નિજધર્મ માની
મીઠો સ્વભાવ નિજ જીવનઅંગ જાણી,
સંસારમાં સતત સુંદર સાધનાની
ધૂની સદા જગવવી શુભ ભાવનાની.
છે કર્મ પાછળ નહીં મુજ કામના કો
ના મોહપાશ ક્ષણભંગુર વાસનાનો,
સત્તા ચહું નહિ ચહું પદ ના પ્રતિષ્ઠા
સન્માનમાળ સુખની ન મને મનીષા;
તેથી પ્રસન્નવદને શુભ કર્મ કેરી
કલ્યાણ-આહુતિ ધરું મુજ જિંદગીની
કર્તવ્ય માત્ર સમજી સુખ ને દુઃખોમાં
નિંદા તથા સ્તુતિ મહીં જયહારમાં કે
લાભો મહીં વિષમ ઘાતક હાનિમધ્ય
સામાન્ય માધ્યમ બની પ્રભુનું ઉદાત્ત.