કોણ અપરાધી ? જરૂર એ જેમણે વધસ્તંભપે
ચડાવ્યા ઈશુને કરી ને ઘોર હત્યા તે દિને,
અશ્રુ એકે એમના અંતર મહીં ઉઠ્યું નહીં
જાહ્નવી ના વેદનાની જેમને જીવન વહી.
ઘોર અપરાધી ધર્યું સોમલ મહા શુકરાતને
દયાનંદ મહાનને ને નિર્વિવાદ અનન્ય એ
મહાઅપરાધી જગતની જ્યોતિને જેણે હણી
આતતાયી ગોડસે; એ કરુણતા ઈતિહાસની.
કહે છે કે ગોડસેને દંડમાં ફાંસી મળી,
સમસ્યા એથી છતાંયે માનવી કેરી ટળી ?
નિત્ય વધસ્તંભે ચડાવે સહસ્ત્રો ઈશુને
હણે નિંદે કષ્ટ અનુયાયી ધરે પજવે,
કરે કૈં અવહેલના જ્યોતિર્ધરો કેરી,
એમના આદર્શની હોળી કરે મેલી.
ભોંકતા ખંજર બધા એ એમના પ્રાણે,
ભયંકર અપરાધ આવે કિન્તુ ના ધ્યાને.
એ બધાયે ગોડસે જીવે સમાજ મહીં
માહિતી પણ એમની જનને જરાય નહીં
રક્તરંગ્યા હૃદય સૌનાં ઊજળા તન છો,
દંડપાત્ર ભલે વિરાજ્યા ઊર્ધ્વ આસન હો.
કોણ અપરાધી વધારે વિઘાતક જગમાં ?
કોણ હત્યા ખરેખર ? ભરીને રગમાં
કોણ સોમલને ફરે ને સ્વર્ગ નષ્ટ કરે ?
ડંખતા ના એમના દિલ જડકઠોર ખરે ?